ભારતે નબળાઈ નહીં પણ ગદ્દારીને કારણે અંગ્રેજોની ગુલામી કરવી પડી : RSS પ્રમુખ મોહન ભાગવત
RSS Chief Mohan Bhagwat | આરએસએસ ચીફ મોહન ભાગવતે બર્ધમાનમાં એક કાર્યક્રમના સંબોધનમાં હિન્દુ એકતાને મહત્વ આપતા તેને ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સારને જાળવી રાખતા એક જવાબદાર સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજ વાસુધૈવ કુટુંબકમ (વિશ્વ એક પરિવાર છે)ના સિદ્ધાંતને સમાવિષ્ટ કરીને સ્વાભાવિક રીતે વૈવિધ્યતાને સ્વીકારે છે. ભાગવતે જણાવ્યું કે ભૂતકાળની ગુલામી માટે દેશની નબળાઈ નહિ પણ આંતરિક ગદ્દારી જવાબદાર હતી.
ભાગવતે જણાવ્યું કે ભારત એક ભૌગોલિક ઓળખ કરતા ઘણુ વિશેષ છે. તેની ઓળખ સમગ્ર ઈતિહાસ દ્વારા ટકી રહેલા સહિયારા જટિલ સંસ્કારમાં મૂળ ધરાવે છે. તેમણે નોંધ કરી કે આ સારથી અળગા થયેલા કેટલાક જૂથોએ વિભાજન કર્યા, પણ બાકીનાએ આ ભાવનાને ટકાવી રાખવાનું નક્કી કર્યું.
ઐતિહાસીક ઉદાહરણો ટાંકીને ભાગવતે જણાવ્યું કે ભારતની સંસ્કૃતિ સમ્રાટો અને મહારાજોના સ્થાને ત્યાગ અને ફરજના મૂલ્યો સ્થાપતા ભગવાન રામ અને ભરત જેવી હસ્તીઓનું સન્માન કરે છે. તેમણે ચેતવણી આપી કે પડકારો હજી પણ છે, પણ તેનો સામનો કરવાની સમાજની તૈયારી મહત્વની છે.
ભારતના ઈતિહાસ પર મંથન કરતા ભાગવતે ભૂતકાળના વિદેશી શાસન માટે બાહ્ય શ્રેષ્ઠતાના સ્થાને આંતરિક વિશ્વાસઘાતને જવાબદાર માન્યો. તેમણે બ્રિટિશે ભારતની રચના કરી તેવા અભિગમને ફગાવી દેતા કહ્યું કે ભારતની એકતા બ્રિટિશ રાજ કરતા પહેલાની છે. તેમણે મહાત્મા ગાંધીની માન્યતાને દોહરાવી હતી કે ભારત કાયમ વૈવિધ્યસભર છતાં એકીકૃત સંસ્કૃતિ રહી છે.આરએસએસની સ્થાપનાના સો વર્ષ પૂરા થવાના છે ત્યારે ભાગવતે સમાજને એકીકૃત કરવાના તેના મિશન પર પ્રકાશ પાડયો. તેમણે લોકોને આરએસએસ સાથે સાંકળવાનું આમંત્રણ આપતા કહ્યું કે તેના માટે સભ્ય બનવાની જરૂર નથી, માત્ર તેના કાર્યને સમજવાની જરૂર છે.