'સાત ફેરાં લીધા વિના હિન્દુ વિવાહ કાયદેસર ન ગણાય', અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
એક પતિએ તેની પત્ની પર તલાક લીધા વિના જ બીજા લગ્ન કરી લેવાનો મૂક્યો હતો આરોપ
જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું કે આ નિયમ જ છે કે જ્યાં સુધી તમામ વિધિઓ અને રીતિ-રિવાજો સાથે યોગ્ય રીતે લગ્ન સંપન્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ લગ્નને સંપન્ન થયેલા ન માની શકાય
અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે સાત ફેરાં અને અન્ય રીતિઓ વગર હિન્દુ વિવાહ (Hindu Wedding Not Valid Without Saat Pheras) કાયદેસર મનાય જ નહીં. હાઈકોર્ટે એક કેસ ફગાવી દીધો હતો જેમાં એક પતિએ આરોપ મૂક્યો હતો કે તેની પત્નીએ તલાક લીધા વિના જ બીજા લગ્ન કરી લીધાં છે એટલા માટે તેને દંડિત કરવામાં આવે.
જજે આ મામલે શું કહ્યું?
સ્મૃતિ સિંહ (Smruti singh) નામની મહિલાની અરજી સ્વીકારતાં જસ્ટિસ સંજય કુમાર સિંહે કહ્યું કે આ નિયમ જ છે કે જ્યાં સુધી તમામ વિધિઓ અને રીતિ-રિવાજો સાથે યોગ્ય રીતે લગ્ન સંપન્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી એ લગ્નને સંપન્ન થયેલા ન માની શકાય. હાઈકોર્ટે કહ્યું કે જો લગ્ન કાયદેસર નથી તો કાયદાની (Hindu Marriage Act 1955) નજરમાં પણ તે લગ્ન નથી.
હિન્દુ એક્ટ હેઠળ લગ્ન કેવા હોવા જોઈએ?
હિન્દુ કાયદા હેઠળ સપ્તપદી એક કાયદેસરના લગ્નનું જરૂરી ઘટક છે પણ વર્તમાન કેસમાં આ પુરાવાઓનો અભાવ છે. હાઈકોર્ટે હિન્દુ લગ્ન એક્ટ, 1955ની કલમ 7ને આધાર બનાવી છે જે હેઠળ એક હિન્દુ લગ્ન સંપૂર્ણ વિધિ (Saptapadi) અને રીત-રિવાજ સાથે થવા જોઈએ જેમાં સપ્તપદી (પવિત્ર અગ્નિને સાક્ષી માની વર અને વરવધૂ દ્વારા અગ્નિના સાત ફેરા લેવા) એ લગ્નને સંપન્ન બનાવે છે.
કોર્ટે આદેશમાં શું કહ્યું?
હાઈકોર્ટે મિરઝાપુરની કોર્ટના 21 એપ્રિલ, 2022 ના એ આદેશને રદ કરી દીધો જે હેઠળ સ્મૃતિ સિંહને સમન્સ જારી કરાયો હતો. હાઈકોર્ટે કહ્યું કે ફરિયાદમાં સપ્તપદીના સંબંધમાં કોઈ ઉલ્લેખ જ કરાયો નથી. એટલા માટે આ કોર્ટના વિચારથી કોઈ અપરાધનો મામલો નથી બનતો કેમ કે બીજા લગ્નનો આરોપ નિરાધાર છે.