માતા-પિતાના ઝઘડા વચ્ચે હાઈકોર્ટે કરવું પડ્યું બાળકનું નામકરણ
Image Source: Twitter
- કોર્ટે બાળકનું નામ 'પુણ્ય બાલગંગાધરન નાયર' અથવા 'પુણ્ય બી નાયર' રાખવાનો નિર્ણય કર્યો
કોચ્ચિ, તા. 01 ઓક્ટોબર 2023, રવિવાર
ન્યાયની રક્ષા કરનારી અદાલત હવે માતા-પિતાની ભૂમિકા પણ નિભાવી રહી છે. તેનો તાજેતરનો પુરાવો કેરળ હાઈકોર્ટમાંથી મળ્યો છે. જ્યાં પતિ-પત્નીના ઝઘડા વચ્ચે અદાલતે બાળકનું નામકરણ કરવું પડ્યું છે. કોર્ટેનું કહેવું છે કે, બાળકના કલ્યાણ માટે તેનું નામ હોવું ખૂબ જ જરૂરી છે. મહત્વની વાત એ છે કે, બાળકના નામકરણની પ્રક્રિયામાં કોર્ટે માતા-પિતાની ભલામણ પણ સ્વીકારી છે.
આ મામલો કેરળનો છે. અહીં પતિ-પત્ની વચ્ચે બાળકનું નામ રાખવાને લઈને વિવાદ થઈ ગયો હતો. મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાળકને અભ્યાસ માટે શાળામાં એડમિસન લેવાનો સમય આવ્યો. શાળાએ નામ વગર જન્મ પ્રમાણપત્ર સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. પતિ-પત્ની બંને અલગ રહેતા હતા. હવે આ અંગે પત્નીએ નામ સૂચવ્યું અને બાળકના પિતા તરફથી પણ નામ સૂચવ્યું. પરિણામ એ આવ્યું કે બંને વચ્ચે વિવાદ થયો અને કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો.
કોર્ટમાં શું થયું
કેરળ હાઈકોર્ટનું કહેવું છે કે, માતા-પિતા વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવામાં વધુ સમય લાગશે અને તે બાળક માટે યોગ્ય નથી. બાળકના નામકરણ માટે કોર્ટે પેરેન્ટ્સ પેટ્રિયા અધિકારનો ઉપયોગ કર્યો. કોર્ટે કહ્યું કે, આ અધિકારનો ઉપયોગ કરતી વખતે માતા-પિતાના અધિકારો કરતા બાળકના કલ્યાણને સર્વોપરી રાખવામાં આવે છે.
બેન્ચે કહ્યું કે, કોર્ટે બાળકનું નામકરણ કરવું જ પડશે. નામકરણ કરતી વખતે બાળકનું કલ્યાણ, સાંસ્કૃતિક વિચાર, માતા-પિતાના હિત જેવી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. તેનો સૌથી મોટો હેતુ બાળકના કલ્યાણનો છે. આવી સ્થિતિમાં કોર્ટ પેરેન્સ પેટ્રિયા જ્યૂરિડિક્શનનો ઉપયોગ કરવા માટે મજબૂર છે.
માતા-પિતાના અલગ સૂચનો
માતા બાળકનું નામ 'પુણ્ય નાયર' રાખવા માંગતી હતી. આ માટે તેણે રજિસ્ટ્રારનો સંપર્ક પણ કર્યો હતો પરંતુ રજિસ્ટ્રારે બંનેના માતા-પિતાની હાજરીની માંગ કરી હતી. હવે અલગ થયેલા માતા-પિતા આ મુદ્દે એકમત ના થયા. બીજી તરફ પિતાની ઈચ્છા હતી કે બાળકનું નામ 'પદ્મ નાયર' રાખવામાં આવે.
કોર્ટે અનેક પાસાઓને ધ્યાનમાં રાખીને બાળકનું નામ 'પુણ્ય બાલગંગાધરન નાયર' અથવા 'પુણ્ય બી નાયર' રાખવાનો નિર્ણય કર્યો છે.