પેપર લીક નહીં થયાના કેન્દ્ર સરકારના દાવા વચ્ચે આજે નીટ-યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
પેપર લીક નહીં થયાના કેન્દ્ર સરકારના દાવા વચ્ચે આજે નીટ-યુજી અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 1 - image

Supreme Court on NEET |  સુપ્રીમ કોર્ટ વિવાદોથી ઘેરાયેલ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી 2024થી સંબધિત અરજીઓ પર આજે સુનાવણી કરશે. આ અરજીઓમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (નીટ-યુજી)ની પાંચ મેના રોજ થયેલી પરીક્ષામાં ગેરરીતિના આરોપવાળી અને તેને ફરીથી લેવાની માગ કરતી અરજીઓ પણ સામેલ છે.

કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ શુક્રવારે કોર્ટમાં જણાવ્યું હતું કે  કોઇ પુરાવા વગર આ પરીક્ષા રદ કરવામાં આવશે તો તેની ખૂબ જ પ્રતિકૂળ અસર પડશે કારણકે આનાથી લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓ પર ગંભીર અસર પડી શકે છે.

સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રાની ખંડપીઠ પરીક્ષાથી સંબધિત કુલ ૩૮ અરજીઓ પર સુનાવણી કરશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) સરકારી અને ખાનગી સંસ્થાઓમાં એમબીબીએસ, બીડીએસ, આયુષ અને અન્ય સંબધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ-યુજીનું આયોજન કરે છે. 

ચાલુ વર્ષે પાંચ મેના રોજ આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ૫૭૧ શહેરોના ૪૭૫૦ પરીક્ષા કેન્દ્રો પર ૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતાં. 

પ્રશ્ર પત્ર લીક સહિત અનિયમિતતાના આરોપો અંગે અનેક શહેરોમાં દેખાવો થયા હતાં અને વિપક્ષે તેને મુદ્દો બનાવ્યો હતો. પરીક્ષામાં ગેરરીતિ થવા અંગે કોર્ટમાં પણ અનેક કેસો દાખલ કરવામાં આવ્યા હતાં.  કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને એનટીએએ આ અરજીઓનો વિરોધ કરતા અલગ અલગ એફિડેવિટ જારી કર્યા છે. જેમાં પરીક્ષા રદ ન કરવાની માગ કરવામાં આવી છે. આ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે મોટા પાયે ગેરરીતિ થયા હોવાના કોઇ પુરાવા મળ્યા નથી અને તથા સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે.


Google NewsGoogle News