શાહજહાં શેખ કેસમાં બંગાળ સરકાર ફસાઈ: હાઈકોર્ટે EDને માનહાનિનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
શાહજહાં શેખ કેસમાં બંગાળ સરકાર ફસાઈ: હાઈકોર્ટે EDને માનહાનિનો કેસ દાખલ કરવાની મંજૂરી આપી 1 - image


નવી દિલ્હી,તા. 6 માર્ચ 2024, બુધવાર 

શાહજહાં શેખ અને સંદેશખાલીનો મુદ્દો હવે રાજકીયની સાથે કાયદાકીય રંગ પણ લઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ સરકાર શાહજહાં શેખ અને સંદેશખાલીના મુદ્દે અટવાયેલી જોવા મળી રહી છે. કોલકાતા હાઈકોર્ટે EDને બંગાળ સરકાર વિરુદ્ધ તિરસ્કારની અરજી દાખલ કરવાની મંજૂરી આપી દીધી છે. 

હાઈકોર્ટના આદેશ છતાં પશ્ચિમ બંગાળ પોલીસે ટીએમસી નેતા શાહજહાં શેખને સીબીઆઈને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો. ED વતી ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદીએ હાઈકોર્ટ પાસે બંગાળ સરકાર સામે માનહાનિની અરજી દાખલ કરવા અને તેની ટૂંક સમયમાં સુનાવણી કરવાની પરવાનગી માંગી હતી, જેને હાઈકોર્ટની બેંચે મંજૂર કરી હતી.

શાહજહાં શેખ માટે CBI-CIDમાં ખેંચતાણ:

જસ્ટિસ હરીશ ટંડન અને હિરણમોય ભટ્ટાચાર્યની કોલકત્તા હાઈકોર્ટની ડીવિઝન બેંચે EDને બંગાળ સરકાર સામે અવમાનનાની અરજી દાખલ કરવાની મંજૂરી આપી હતી. આ પહેલા મંગળવારે હાઈકોર્ટે ઈડી ટીમ પર હુમલાની તપાસ સીબીઆઈને સોંપવા અને શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને આપવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ સીબીઆઈની ટીમ મંગળવારે સીઆઈડી હેડક્વાર્ટર, ભવાની ભવનમાં લગભગ બે કલાક રાહ જોયા બાદ ખાલી હાથે પરત ફરી હતી કારણકે બંગાળ પોલીસે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સાથે બંગાળ સરકારે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. આ અગાઉ જ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

શાહજહાં શેખ પર ED ટીમ પર હુમલાનો આરોપ :

બંગાળ સરકારે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાના નિર્ણયનો વિરોધ કર્યો છે અને તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેસની વહેલી સુનાવણીની માંગ કરી છે. શાહજહાં શેખ રાશન કૌભાંડમાં આરોપી છે અને 5 જાન્યુઆરીએ EDની ટીમ રાશન કૌભાંડમાં શાહજહાં શેખના પરિસરમાં દરોડા પાડવા માટે સંદેશખાલી પહોંચી હતી ત્યારે શાહજહાં શેખના સમર્થકોએ ED ટીમ પર પથ્થરમારો કર્યો હતો. 

આ કેસમાં EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા છે. હુમલાના કેસમાં EDએ શાહજહાં શેખ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં જ શાહજહાં શેખ સહિતના ટીએમસી નેતાઓ પર સંદેશખાલીમાં લોકોની જમીન પર ગેરકાયદે કબજો કરવાનો અને મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. ભારે હોબાળો બાદ શાહજહાં શેખની બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. બંગાળ સરકારે શાહજહાં શેખ કેસની તપાસ CID દ્વારા કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે ઈડીની અરજી પર મંગળવારે કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમની બેંચે ઈડી ટીમ પર હુમલાની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, બંગાળ પોલીસે શાહજહાં શેખને સીબીઆઈને સોંપ્યો ન હતો. હવે આ મામલે તિસ્કારના ખટલાનો બંગાળ સરકારે સામનો કરવો પડી શકે છે.


Google NewsGoogle News