Haryana Election: હરિયાણામાં ભાજપ-કોંગ્રેસને રાહત, 10 બળવાખોરોએ ઉમેદવારી પાછી ખેંચી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Haryana Election: હરિયાણામાં ભાજપ-કોંગ્રેસને રાહત, 10 બળવાખોરોએ ઉમેદવારી પાછી ખેંચી 1 - image


Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને મોટી રાહત મળી છે. બંને પાર્ટીના 10 બળવાખોરોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર હતી. ત્યારે સોમવારે ભાજપ અને કોંગ્રેસના કુલ 10 બળવાખોર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને મોટી રાહત મળી છે.

બળવાખોરોને મનાવવામાં આ નેતાઓએ મુખ્ય ભૂમિકા ભજવી

તમને જણાવી દઈએ કે આ પહેલા બંને પાર્ટીઓએ પોતાના બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ કર્યો અને તેમને તેમાં સફળતા પણ મળી. ભાજપ તરફથી હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને હરિયાણામાં પાર્ટીના સહ પ્રભારી બિપ્લવ દેબે પાર્ટીના શીર્ષ નેતાઓ સાથે મળીને બળવાખોર નેતાઓને મનાવવા માટે અભિયાન ચલાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ તરફથી પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને તેમના સાંસદ પુત્ર દીપેન્દ્ર હુડ્ડાએ બળવાખોરોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં ઘણા બળવાખોર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી નથી ખેંચી અને તેઓ હજું પણ ચૂંટણી મેદાનમાં અડગ છે. 

ભાજપના આ ચાર બળવાખોરોએ ઉમેદવારી પાછી ખેંચી

હરિયાણાની ચૂંટણીમાં ભાજપને રાહત આપતા પાર્ટીના ચાર બળવાખોરો ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. તેમાં સુધીર ચૌધરીનું નામ સામેલ છે. જે ભાજપથી નારાજ હતા અને કોંગ્રેસની ટિકિટ પર સોહના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ સોમવારે તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. બીજી તરફ નારનૌલ બેઠક પરથી ભાજપના બળવાખોર ભારતી સૈનીએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચીને ભાજપને રાહત આપી છે.

આ ઉપરાંત મહેન્દ્રગઢની નાંગલ ચૌધરી બેઠક પરથી સતીશ સૈનીએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉમેદવારી પાછી ખેંચવાની સાથે તેમણે ભાજપના ઉમેદવાર અભય સિંહને સમર્થન આપ્યું છે. જ્યારે સોનીપત બેઠક પરથી રાજીવ જૈને ઉમેદવારી પાછી ખેંચીને ભાજપને રાહત આપી છે. તમને જણાવી દઈએ કે ટિકિટ કપાયા બાદ તેમની પત્ની અને પૂર્વ મંત્રી કવિતા જૈને અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

કોંગ્રેસમાં આ બળવાખોરોએ પણ ચૂંટણી મેદાન છોડ્યું

બીજી તરફ કોંગ્રેસના જે 6 બળવાખોરોએ ચૂંટણી મેદાનમાંથી યુ-ટર્ન લીધો છે તેમાં ભિવાની જિલ્લાની બાવાની ખેડા બેઠક પરથી રામ કિશન ફૌજી અને નલવા હલ્કા બેઠક પરથી કોંગ્રેસના બળવાખોર પૂર્વ મંત્રી સંપત સિંહે પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. જ્યારે પંચકુલા બેઠક પરથી ગુરજંત સિંહ પોલાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રમોહનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. અંબાલા સિટી વિધાનસભા બેઠક પરથી જસબીર સિંહ મલૌર અને હિંમત સિંહે ઉમેદવારી પાછી ખેંચીને કોંગ્રેસને મોટી રાહત આપી છે. આ ઉપરાંત કુરુક્ષેત્રની શાહબાદ બેઠક પરથી પ્રેમ હિંગાખેડી અને અટેલીથી હેમંત શર્માએ ઉમેદવારી પાછી ખેંચી છે.



Google NewsGoogle News