Get The App

વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો 1 - image


Gurmeet Ram Rahim : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં જ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામરહીમ ઈશાંને ફરી પેરોલ અપાતા ભાજપના ડબલ સ્ટાન્ડર્ડ છતાં થઈ ગયા છે. દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિત ઠરેલા રામરહીમને ભાજપ સરકારની મહેરબાનીથી 15મી વાર પેરોલ પર મુક્ત કરાતાં ભાજપના પણ ચાવવાના અને બતાવવાના જુદા જદા છે એ સાબિત થયું છે. ગુરમીત રામરહીમને પોતાના જ આશ્રમની સાધ્વી પર વારંવાર દુષ્કર્મ ગુજારવા બદલ 20 વર્ષની જેલની સજા થઈ છે, જ્યારે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં જન્મટીપની સજા થઈ છે. રામરહીમ રેપિસ્ટ અને હત્યારો છે એ કોર્ટે સ્વીકાર્યુ છે, પણ નરેન્દ્ર મોદીના ભાજપને તેના પગમાં આળોટવામાં જરાય શરમ નથી આવતી.

‘દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ’ લાલ કિલ્લા પરથી થયો હતો હુંકાર

કોલકાત્તામાં આર.જી. કાર હૉસ્પિટલની ડૉક્ટર યુવતી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવાઈ એ ઘટનાને ભાજપે વખોડી હતી. લાલ કિલ્લા પરથી પણ હુંકાર થયો હતો કે, દુષ્કર્મીઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ જ્યારે અહીં તો દુષ્કર્મી ગુરમીત રામરહીમને ભાજપ સરકાર પેરોલ પર છોડી રહી છે. રેપિસ્ટ રામરહીમને ભાજપ શાસિત ઉત્તર પ્રદેશના બાગપતના આશ્રમમાં સરકારી સુરક્ષા વચ્ચે રખાયો છે.

હરિયાણામાં રામરહીમના સમર્થકોના મત મહત્ત્વના

શરમજનક વાત એ છે કે, ભાજપ સત્તા મેળવવા માટે આ દુષ્કર્મી અને હત્યારા રામરહીમની મદદ લઈ રહી છે. હરિયાણાની ચૂંટણીમાં રામરહીમના સમર્થકો પોતાને મત આપે એ માટે ભાજપ સરકારે બેશરમ બનીને રામરહીમને પંદરમી વાર પેરોલ આપી દીધા છે. રામરહીમ દુષ્કર્મ અને હત્યાના એક-એક કેસમાં દોષિત ઠર્યો છે પણ તેની સામે અનેક ગંભીર આક્ષેપો થયેલા છે. રામરહીમ સામે સાધ્વીઓને હવસનો શિકાર બનાવવાના આક્ષેપો લાંબા સમયથી થતા હતા પણ રાજકીય વગના કારણે તેનું કોઈ કશું ઉખાડી શકતું નહોતું.

હરિયાણા ચૂંટણીના મેદાનમાં ઉતર્યો વીરેન્દ્ર સહેવાગ, જાણો કઈ પાર્ટીના ઉમેદવાર માટે માગ્યા વોટ?

રામરહીમે આશ્રમમાં હજારો યુવતીઓને શિકાર બનાવી

2002માં એક સાધ્વીએ આક્ષેપ કર્યા કે, પોતે વરસોથી રામરહીમના આશ્રમમાં રહેતી હતી. રામરહીમે એક રાત્રે પોતાના રૂમમાં બોલાવીને પરાણે શારીરિક સંબંધ બાંધીને આખી રાત તેને ભોગવી હતી. રામરહીમે યુવતીને કહેલું કે, મારી સાથે સંબંધ બાંધીને તું પવિત્ર થઈ ગઈ છે. એ પછી આ સિલસિલો શરુ થઈ ગયો ને રામરહીમને ઇચ્છા થાય ત્યારે યુવતીને બોલાવીને પોતાની હવસ સંતોષતો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે, રામરહીમે આશ્રમમાં હજારો યુવતીઓને હવસનો શિકાર બનાવી છે. રામરહીમને રોજ નવી સ્ત્રી શરીરની ભૂખ સંતોષવા જોઈએ છે.

રામરહીમને ક્યારે ક્યારે મળ્યા પેરોલ

  • 24 ઑક્ટોબર 2020 : ગુરગ્રામની હૉસ્પિટલમાં દાખલ બીમાર માતાને મળવા માટે એક દિવસના પેરોલ અપાયા. આ પેરોલ જેલ સુપ્રિન્ટેનેન્ટ દ્વારા મંજૂર કરાયા હતા. પોલીસ રક્ષણ હેઠળ રામરહીમને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
  • 21 મે, 2021 : બીમાર માતાને મળવા માટે ફરી એક દિવસના પેરોલ અપાયા હતા. રામરહીમને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી 12 કલાક માટે પોલીસ ક્ષણ હેઠળ હૉસ્પિટલમાં રખાયા પછી ફરી જેલ ભેગો કરી દેવાયો હતો.
  • 7 ફેબ્રુઆરી 2022 : રામરહીમને 21 દિવસના ફર્લો અપાયા. ફર્લો માટે કોઈ કારણની જરૂર નથી હોતી તેથી ભાજપ સરકાર રામરહીમ પર મહેરબાન હતી એ સ્પષ્ટ છે. રામરહીમને ઝેડ પ્લેસ સિક્યુરિટી પણ અપાઈ હતી. પંજાબ વિધાનસભાની ચૂંટલી પહેલાં પરિવારને મળવાના બહાને રામરહીમને 21 દિવસ માટે છોડાયો હતો.
  • 17 જૂન 2022 : સીખ સંગઠનોના વિરોધને ધોઈને પી જઈને હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રામરહીમને 30 દિવસના પેરોલ અપાયા. રામરહીમ આ દરમિયાન ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના બરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં રહ્યો હતો.
  • 14 ઑક્ટોબર, 2022 : રામરહીમને 40 દિવસના પેરોલ પર મુક્ત કરાયો. ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના બરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં રહીને રામરહીમે પોતાના ત્રણ મ્યુઝિક આલ્બમ લોંચ કર્યા હતા. આદમપુર પેટાચૂંટણી અને હિમાચલ પ્રદેશમાં ભાજપને જીતાડવા કામ કર્યુ
  • 21 જાન્યુઆરી, 2023 : રામરહીમને ડેરા સચ્ચા સૌદાના હરિયાણાના સિરસાના મુખ્યમથકે યોજાનારા વાર્ષિક સમારોહમાં હાજર રહેવા 40 દિવસના પેરોલ પર મુક્ત કરાયો. ઉત્તર પ્રદેશના ભાગપત જિલ્લાના બરનાવાના ડેરા સચ્ચા સૌદાના આશ્રમમાં રામરહીમે પોતાના બર્થ ડે પર 23 જાન્યુઆરીઓ વિશાળ કેક તલવારથી કાપી હોવાનો વીડિયો પણ બહુ વાયરલ થયો હતો.
  • 20 જુલાઈ, 2023 : રામરહીમને ફરી 21 દિવસના પેરોલ અપાયા. હરિયાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે રામરહીમને પેરોલ અપાયા હતા.
  • 20 નવેમ્બર, 2023 : રામરહીમને 21 દિવસના ફર્લો આપીને જેલમાંથી બહાર કઢાયો. રામરહીમને વરસમાં ત્રીજી વાર મુક્તિ મળી. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પહેલાં રામરહીમને મુક્ત કરાયો હતો.
  • 19 જાન્યુઆરી, 2024 : ડેરા સચ્ચા સૌદાના રામરહીમને 50 દિવસના પેરોલ આપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા રામરહીમને છોડવામાં આવ્યો હતો પણ હરિયાણામાં ભાજપ 5 બેઠકો હારી ગયો.
  • 13 ઑગસ્ટ, 2024 : હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે રામરહીમને 21 દિવસના ફર્લો અપાયા. રામરહીમે ભાગપતના આશ્રમમાં બેસીને પોતાના 30 જેટલા સમર્થકોને ટિકિટ અપાવી.
  • 1 ઑક્ટોબર, 2024 : હરિયાણા વિધાનસભાની 5 ઑક્ટોબરે યોજાનારી ચૂંટણીના 4 દિવસ પહેલાં રામરહીમને 30 દિવસના પેરોલ મળ્યા. રામરહીમ ભાજપને જીતાડવા કામે લાગી ગયો.

હરિયાણામાં પક્ષપલટુઓની જીભ લપસી, કોઈએ વિરોધીની પ્રશંસા કરી, કોઈએ હરીફ માટે વોટ માગ્યા

રેપિસ્ટ રામરહીમનો ભાજપને ખુલ્લો ટેકો

  • 2014 : ભાજપના મોટા નેતાએ હરિયાણાની 2014ની વિધાનસભા ચૂંટણી પહેલાં રામરહીમના મોંફાટ વખાણ કર્યા હતા. બદલામાં રામરહીમ સિંહે ભાજપને ટેકો આપ્યો હતો. રામરહીમે પોતાના ભક્તોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. ભાજપ જીતી જતાં ભાજપ અને રામરહીમના સંબંધો ગાઢ બન્યા.
  • 2015 : દિલ્હી વિધાનસભાની ફેબ્રુઆરીની ચૂંટણીમાં રામરહીમ સિંહે ભાજપને ટેકો આપીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને હરાવવાની ખુલ્લી અપીલ કરી. દિલ્હીમાં પોતાના 2 કરોડ અનુયાયી હોવાનો દાવો કરીને રામરહીમે ભાજપ વિરોધીઓને સાફ કરી દેવાનો હુંકાર કરેલો પણ ભાજપ જ સાફ થઈ ગયો.
  • 2015 : રામરહીમે નવેમ્બરમાં યોજાયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો જાહેર કર્યો. ડેરા સચ્ચા સૌદાના 3000 અનુયાયી ભાજપનો પ્રચાર કરવા માટે બિહાર ગયા હતા પણ લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારના જોડાણ સામે ભાજપની કારમી હાર થઈ. નીતિશ કુમાર ફરી બિહારના મુખ્યમંત્રી અને તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી બન્યા.
  • 2016 : હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રામરહીમે ભાજપને મત આપવા અપીલ કરી. હરિયાણાના સ્પોર્ટ્સ મિનિસ્ટર રામરહીમને પગે લાગવા તેમના આશ્રમમાં ગયા. રામરહીમે હરિયાણામાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આપેલા યોગદાન બદલ ડેરા સચ્ચા સૌદાને ભાજપ સરકાર વતી 50 લાખ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ જાહેર કરાઈ.
  • 2017 : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રામરહીમ સિંહે ભાજપ-અકાલીદળના ગઠબંધનને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓ ખુલ્લેઆમ ભાજપ અને અકાલી દળનો પ્રચાર કરતા હતા રામરહીમના ટેકા છતાં ભાજપ-અકાલી દળ હારી ગયેલાં અને કોંગ્રેસની સરકાર રચાઈ. ભાજપ-અકાલી દળ બીજા નંબરે પણ નહોતા આવ્યા.

દુષ્કર્મ-હત્યાના પાપ પણ વોશિંગ મશીનમાં ધોવાશે

રામરહીમને પોતાના મેનેજર રણજીતસિંહની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. રામરહીમે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સજા સામે કરેલી અરજીને માન્ય રાખીને તેને નિર્દોષ છોડાયો હતો. ડેરા સચ્ચા સૌદાના મેનેજર રણજિત સિંહની હત્યાના કેસમાં સીબીઆઇ કોર્ટે રામરહીમ સહિત 5 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી પણ હાઇકોર્ટે સીબીઆઈ કોર્ટના ચુકાદાને રદ કરીને રામરહીમને બાઇજ્જત બરી કરી દીધા છે. હાઇકોર્ટે રણજીત હત્યા કેસમાં બાકીના ચારેયને પણ નિર્દોષ છોડી મૂક્યા હતા. રામરહીમને છેલ્લા કેટલાક સમયથી હરિયાણાની ભાજપ સરકારની મહેરબાનીથી પેરોલ પર પેરોલ મળી રહ્યા છે. હાઇકોર્ટમાં પણ ભાજપની મહેરબાનીથી રામરહીમ છૂટી ગયો એવી ટીકા પણ થઈ હતી. રામરહીમ બાકીના બે કેસમાં પણ ભાજપની મહેરબાનાથી છૂટી જશે અને ભાજપના વોશિંગ મશીનમાં દુષ્કર્મી-હત્યારા રામરહીમના પાપ ધોવાઈ જશે એવી કોમેન્ટ્સ થાય છે.

સિરસામાં આવેલું છે ડેરાનું મુખ્યાલય

ડેરા સચ્ચા સૌદાનું મુખ્યાલય હરિયાણાના સિરસા જિલ્લામાં છે. સિરસા જિલ્લો પંજાબને અડીને આવેલો છે. હરિયાણાના સિરસા, ફતેહાબાદ, અંબાલા, કુરુક્ષેત્ર, પંચકુલા અને હિસારના વિસ્તારોમાં રામરહીમના સમર્થકો મોટી સંખ્યા છે. પંજાબમાં પણ ડેરા સચ્ચા સૌદાના સમર્થકો મોટી સંખ્યામાં છે. 117 બેઠકો ધરાવતા પંજાબમાં 50થી 60 બેઠકો પર ડેરા સમર્થકોનો પ્રભાવ હોવાનું મનાય છે.

વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો 2 - image

ભાજપને મળ્યું હતું ડેરાનું સમર્થન

ડેરા સચ્ચા સૌદાએ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં ભાજપને સમર્થન આપ્યું છે. 2014ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણા ભાજપના તત્કાલીન રાજ્ય પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ડેરા મુખીના આશીર્વાદ લેવા માટે પાર્ટીના 40 ઉમેદવારો સાથે સિરસા ગયા હતા. ત્યારબાદ ડેરા દ્વારા ભાજપને સમર્થન અપાયું હતું. ચૂંટણી જીત્યા બાદ પણ વિજયવર્ગીય તેમના 18 ધારાસભ્યો સાથે રહીમ સિંહનો આભાર માનવા ગયા હતા. 2017માં જ્યારે ગુરમીત રામરહીમ સિંહને સજા સંભળાવવામાં આવી ત્યારે હરિયાણાની ભાજપ સરકારના ઘણા મંત્રીઓ રામરહીમ સિંહના કેમ્પમાં તેમના આશીર્વાદ લેવા જતા હતા. તે દરમિયાન રામરહીમ કરનાલમાં એક કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે સ્ટેજ પર દેખાયા હતા. હરિયાણાના પૂર્વ જેલ મંત્રી રણજીત સિંહ ચૌટાલા, મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રામરહીમની પેરોલ અને ફર્લોનું સમર્થન કર્યુ છે અને કહ્યું છે કે, ડેરા પ્રમુખને પેરોલ અથવા ફર્લો આપતી વખતે કોઈ નિયમો તોડાયા નથી.

2002માં કેસ સોંપાયો, પરંતુ CBIએ કશું ન કર્યુ

રામરહીમના અત્યાચારો વધતાં સાધ્વીએ હરિયાણા અને પંજાબ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. 2002માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખી રામરહીમ સિંહ સામે જાતીય શોષણની ફરિયાદ કરી, તેથી 2002ના સપ્ટેમ્બરમાં સીબીઆઇને તપાસ સોંપવામાં આવી પણ સીબીઆઇએ કશું ના કર્યુ.

દરમિયાનમાં રામરહીમ સામે રામચંદ્ર છત્રપતિ નામના પત્રકારે લખવા માંડ્યું. રામરહીમને શંકા હતી કે, છત્રપતિને પોતાનો મેનેજર રણજીત સિંહ મસાલો પૂરો પાડે છે. દરમિયાનમાં આશ્રમમાં યુવતીઓ પર કરાતાં જાતિય અત્યાચારોની પત્રિકા ફરતી થઈ. છત્રપતિએ આ પત્રિકાની વિગતો છાપતાં રામરહીમે 2002માં છત્રપતિની ગોળી મારીને હત્યા કરાવડાવી અને પછી રણજિતસિંહને પણ પતાવી દેવાયો. આ કેસમાં 2017માં પંચકુલાની કોર્ટે દુષ્કર્મના કેસમાં રામરહીમને દોષિત ઠેરવીને 20 વર્ષની સજા ફટકારી દીધી. એ વખતે રામરહીમના સમર્થકોએ કરેલા તોફાનોમાં 38 લોકોના જીવ ગયેલા.

વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો 3 - image

રામરહીમને માનેલી દીકરી સાથે સેક્સ સંબંધનો આક્ષેપ

રામરહીમ હનીપ્રીતને પોતાની દીકરી ગણાવે છે પણ હનીપ્રિતના ભૂતપૂર્વ પતિએ જ રામરહીમ અને હનીપ્રિત વચ્ચે સેક્સ સંબંધો હોવાનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવ્યો હતો. હનીપ્રિતનું નામ પહેલાં પ્રિયંકા તનેજા હતું. મૂળ ફરીદાબાદની હનીપ્રિતના લગ્ન 1999માં રામરહીમની હાજરીમાં વિશ્વાસ ગુપ્તા સાથે થયેલા. વિશ્વાસ ગુપ્તાના દાદા લૂબિયા રામ ગુપ્તા પંજાબની ધરૌંદા બેઠક પરથી ધારાસભ્ય હતા. વિશ્વાસનો સચ્ચા સૌદાનો વરસોથી અનુયાયી હોવાથી રામરહીમના કહેવાથી તનેજા પરિવારે હનીપ્રિત સાથે પોતાના દીકરાના લગ્ન કરેલા. રામરહીમે ત્યારે હનીપ્રીતને દત્તક લઈને પોતાની દીકરી જાહેર કરી હતી. ગુપ્તાએ થોડાં વરસો પછી હનીપ્રિત અને રામરહીમ વચ્ચે શારીરિક સંબધો હોવાનો દાવો કર્યો હતો. વિશ્વાસનો દાવો હતો કે, રામરહીમની ગુફામાં રામરહીમ અને હનીપ્રિતને પોતે સાવ નગ્નાવસ્થામાં રંગરેલિયા મનાવતા જોયા હતા. વિશ્વાસ ગુપ્તાના કહેવા પ્રમાણે, હનીપ્રિત રામરહીમની દીકરી ગણાતી હોવાથી ગમે ત્યારે તેમના રૂમમાં જતી રહેતી અને કલાકો રૂમમાં ગાળતી જ્યારે પોતાને બહાર બેસાડી રખાતો હતો. રૂમમાં રામરહીમ સાથે હનીપ્રિત સેક્સ માણતી અને બન્ને હવસ સંતોષતા હતા. ગુપ્તાનો દાવો છે કે આ વાતની ખબર પડી પછી પોતે હનીપ્રીતથી છૂટાછેડા લઈ લીધેલા.

‘આશ્રમ’ના બાબા નિરાલા રામરહીમ પર આધારિત ?

પ્રકાશ ઝાની ચર્ચાસ્પદ વેબ સીરિઝ 'આશ્રમ' ગુરમીત રામરહીમના જીવન પર આધારિત હોવાનું મનાય છે. 'આશ્રમ' વેબ સીરિઝની 3 સિઝન રજૂ થઈ ગઈ છે અને ચોથી સિઝનની સૌ રાહ જોઈ રહ્યા છે. બોબી દેઓલને બાબા નિરાલાની ભૂમિકામાં રજૂ કરતી 'આશ્રમ’માં બોબી દેઓલનો લૂક ગુરમીત રામરહીમ જેવો રખાયો હતો. વેબ સીરિઝમાં કાશીપુરમાં આશ્રમ ચલાવતા બાબા નિરાલા ગુનાઇત ભૂતકાળ ધરાવે છે અને પોતાના આશ્રમની સાધ્વીઓને હવસનો શિકાર બનાવે છે એવી કથા છે. બાબા નિરાલા પોતાની સામે પડનારની હત્યાઓ કરાવે છે. રાજકારણીઓ તેમના પગમાં આળોટે છે એ પ્રકારની સ્ટોરી છે. આ બધું રામરહીમના જીવનને મળતું આવે છે તેથી આશ્રમ સીરિઝ રામરહીમની કથા હોવાનો દાવો થતો હતો પણ સત્તાવાર રીતે આ સીરિઝ રામરહીમ પર આધારિત નહીં હોવાની સ્પષ્ટતા કરાઈ હતી.

ભાજપને જોરદાર ઝટકો, મતદાન પહેલાં જ પૂર્વ સાંસદ રાહુલની હાજરીમાં ફરી કોંગ્રેસમાં જોડાયા

બે સાધ્વીઓ પર રેપ માટે 20 વર્ષની જેલ

રામરહીમને 25 ઑગસ્ટ, 2017ના રોજ આશ્રમની બે સાધ્વીઓ પર દુષ્કર્મ માટે 10-10 વર્ષની સજા થઈ હતી. પંચકુલાની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામરહીમને બન્ને સજા એક પછી એક ભોગવવાનો આદેશ આપતાં 20 વર્ષ જેલમાં ગાળવાના છે.

વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો 4 - image


Google NewsGoogle News