જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SCએ કહ્યું- 'વજૂખાનાની થશે સાફસફાઈ, પરંતુ...'

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SCએ કહ્યું- 'વજૂખાનાની થશે સાફસફાઈ, પરંતુ...' 1 - image


Supreme Court Hearing On Gyanvapi : સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસમાં સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાની સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે હિન્દુ પક્ષ દ્વારા 2 જાન્યુઆરીએ કોર્ટમાં અરજી દાખલ કરીને સીલ કરેલા વિસ્તારમાં વજૂખાનાને સાફ કરવાની પરવાનગી માંગી હતી. હિન્દુ પક્ષે કહ્યું હતું કે વજૂખાનાની સફાઈ ન થવાને કારણે માછલીઓ મરી રહી છે.

જ્ઞાનવાપી પરિસરમાં વજૂખનાની સફાઈ કરવામાં આવશે

ઉત્તર પ્રદેશના વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં વજૂખનાની સફાઈ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આ માટે કહ્યું હતું કે સીલ કરેલા વિસ્તારમાં સફાઈની કામગીરી જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ની દેખરેખ હેઠળ થવી જોઈએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'જિલ્લા મેજિસ્ટ્રેટને સફાઈની કામગીરી દરમિયાન કોર્ટના અગાઉના આદેશને ધ્યાનમાં રાખવો.' અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'શિવલિંગને સુરક્ષિત રાખવું જોઈએ અને કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ ન કરવી જોઈએ.' સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં આ કેસની સુનાવણી થઈ હતી. આ પહેલા ત્રીજી જાન્યુઆરીએ તેમણે અરજી પર વહેલી સુનાવણીની ખાતરી આપી હતી. વજૂખાનામાં માછલીઓ મૃત્યુ પામ્યા બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી.

હિન્દુ પક્ષે અરજીમાં આ વાત કહી હતી

હિન્દુ પક્ષે પોતાની અરજીમાં કહ્યું હતું કે 12 થી 25 ડિસેમ્બર, 2023ની વચ્ચે વજૂખાનાની માછલીઓ મૃત્યુ પામી હતી, જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવવા લાગી છે. આ સિવાય અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'ત્યાં હાજર શિવલિંગ હિન્દુઓ માટે ખૂબ જ પવિત્ર છે અને તેને કોઈપણ પ્રકારની ધૂળ, ગંદકી અને મૃત પ્રાણીઓથી દૂર રાખવું જોઈએ. પરંતુ હાલમાં વજુખાનામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળી છે, જેના કારણે ભગવાન શિવમાં માનનારા ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે.

જ્ઞાનવાપી મામલો શું છે ?

વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની પાંચ મહિલાઓએ બનારસની અદાલતમાં દાવો કર્યો કે જ્ઞાનવાપી મસ્જિદમાં શ્રુંગાર ગૌરી સહિતના વિવિધ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિના અવશેષો છે. અહીં હિન્દુઓને પૂજા-અર્ચનાની મંજૂરી આપવામાં આવે અને આ મૂર્તિઓને નુકસાન ન થાય તેની તકેદારી લેવામાં આવે. 1991 અને 2021માં થયેલી બંને અરજી જ્ઞાનવાપી મસ્જિદ તરીકે ઓળખાતી ઈમારત મૂળભૂત રીતે હિન્દુ મંદિર હોવાનો દાવો કરે છે અને તેનાં સમર્થનમાં કેટલાંક પુરાતત્વીય અને ઐતિહાસિક પૂરાવાઓ પણ રજૂ કર્યા છે.

જ્ઞાનવાપી મામલે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, SCએ કહ્યું- 'વજૂખાનાની થશે સાફસફાઈ, પરંતુ...' 2 - image


Google NewsGoogle News