દિલ્હીમાં કેજરીવાલે જે નેતાની ટિકિટ કાપી, તેને ગુજરાતમાં સોંપી મોટી જવાબદારી
Politics News : આમ આદમી પાર્ટીએ ગુલાબ સિંહ યાદવની ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિમણૂક કરી છે. ગુલાબ સિંહે પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારી માટે AAP સંયોજક અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો છે. ગુલાબ સિંહ યાદવ એ જ વ્યક્તિ છે, જેમની ટિકિટ પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કાપી હતી. હવે તેમને ગુજરાતમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.
‘ગુજરાતમાં એક નવું આંદોલન શરુ થવું જોઈએ’
ગુજરાતના સહ-પ્રભારી બનાવવામાં આવ્યા બાદ ગુલાબ સિંહ યાદવે તેમના એક્સ એકાઉન્ટમાં લખ્યું હતું કે, ‘એવું લાગે છે કે મારો ગુજરાત સાથે જૂનો સંબંધ છે - આભાર અરવિંદ કેજરીવાલ. તમે ફરીથી મારામાં વિશ્વાસ દાખવ્યો છે, હું શક્ય તેટલા બધા પ્રયાસો કરીશ. આ વખતે ગુજરાતમાં એક નવું આંદોલન શરુ થવું જોઈએ, લોકો પોતે જ ભાજપને ઉખેડી નાખવા તૈયાર થઈ જશે.’ તેમણે AAPના એક્સ હેન્ડલ પર કરેલી પોસ્ટને રિ-પોસ્ટ કરતી વખતે આ વાતો લખી હતી.
આ પણ વાંચો : વક્ફ સંશોધન કાયદો 2025 આજથી સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ગુલાબ સિંહની ટિકિટ કરાઈ હતી
આ વર્ષની શરુઆતમાં દિલ્હીમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગુલાબ સિંહ યાદવની ટિકિટ કપાઈ ગઈ હતી. ગુલાબ સિંહ દિલ્હીની મટિયાલા બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે તેમની જગ્યાએ પાર્ટીએ સુમેશ શૌકીનને ટિકિટ આપી હતી. મટિયાલા પરથી ભાજપે સંદીપ સેહરાવતને ટિકિટ આપી હતી અને કોંગ્રેસે રઘુવિંદર શૌકીનને ટિકિટ આપી હતી. આ બેઠક પર સેહરાવતે જીત મેળવી હતી.
ગુલાબ સિંહ યાદવને ઘરે પડ્યા હતા EDના દરોડા
લિકર પોલિસી કેસમાં ફસાયેલા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ના સમર્થનમાં ગુલાબ સિંહ યાદવે (Gulab Singh Yadav) માર્ચ-2024માં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે(ED) તેમને ઘરે દરોડા પાડ્યા હતા. તેમણે કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. ગુલાબ સિંહે સોશિયલ મીડિયા એક્સ (X) પર દિલ્હીના મુખ્યમંત્રીનો ફોટો શેર કરીને લખ્યું હતું કે 'મોદી કા એક હી કાલ, કેજરીવાલ કેજરીવાલ'.
આ પણ વાંચો : વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા