હાઇવે માટે સંપાદિત કરેલી જમીનો મૂળ માલિકોને પરત કરશે સરકાર! કાયદામાં ફેરફારની તૈયારી
Image Source: Twitter
National Highway Act: કેન્દ્ર સરકાર નેશનલ હાઇવે ઍક્ટમાં અનેક સુધારા કરવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સંદર્ભમાં પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે પણ મોકલી દેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સંપાદિત કરેલી જમીન મૂળ માલિકને પરત કરવી, વળતરની રકમ નક્કી કરવાની પ્રક્રિયા, અતિક્રમણ સહિક અનેક સુધારા સામેલ છે. વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાયદામાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં શું કહ્યું?
એક અહેવાલ પ્રમાણે કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જો સંપાદિત જમીનનો ભાગ 5 વર્ષ સુધી ઉપયોગમાં લેવામાં નહીં આવે, તો તે સરકાર દ્વારા માલિકોને પરત કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વળતરની રકમની જાહેરાતના ત્રણ મહિના બાદ હાઇવે ઑથોરિટી કે જમીન માલિક રકમ અંગે કોઈ વાંધો નહીં ઉઠાવી શકશે.
જમીન સંપાદન માટે એક ખાસ પોર્ટલ
અહેવાલ પ્રમાણે રેલવે અને નાગરિક ઉડ્ડયન સહિત ઘણા મંત્રાલયો દ્વારા સુધારા અંગે ટિપ્પણીઓ આપવામાં આવી છે. પ્રસ્તાવ એ પણ છે કે, જમીન સંપાદન માટે એક ખાસ પોર્ટલ હશે જ્યાં નોટિસ રજૂ કરી શકાશે અને રસ્તા કિનારે સુવિધાઓ, ટોલ પ્લાઝા અને ઑફિસો માટે જમીન સંપાદન પણ કરી શકાય.
આ પણ વાંચો: વક્ફ બિલ મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મોટા પાયે દેખાવો, જંતર-મંતર પર નેતાઓનો જમાવડો
જમીન સંપાદન નોટિસ જારી કર્યા બાદ કોઈ પણ અતિક્રમણ નહીં કરી શકશે
હાઇવે મંત્રાલય દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા જમીન સંપાદન નોટિસ જારી કર્યા બાદ કોઈ પણ અતિક્રમણ નહીં કરી શકે. એવા ઘણા મામલા સામે આવ્યા છે, જ્યાં જમીન માલિકો વધુ વળતર મેળવવા માટે પ્રથમ સૂચના પછી ઘર બનાવી લે છે અથવા દુકાનો ખોલી દે છે. આ ઉપરાંત પ્રથમ સૂચના પર જમીનના બજાર મૂલ્યના આધારે જ વળતરની રકમ નક્કી કરવામાં આવશે. આના કારણે મનસ્વી રકમ પર રોક લગાવી શકાય.