મહિલાઓ માટે સુરક્ષિત નથી પ. બંગાળ, મમતા સરકાર અસંવેદનશીલ: રાજ્યપાલે કરી ટીકા

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
C V Ananda Bose


Kolkata Rape Murder Case: કોલકાતાની આર.જી. મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસ મામલે દેશભરમાં આક્રોશ ભભૂકી રહ્યો છે. એવામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે રાજ્ય સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી. વર્તમાન સરકારે મહિલાઓને નિરાશ કરી છે. બંગાળને તેનું ગૌરવ પરત મળવું જોઈએ જ્યાં મહિલાઓ માટે સમાજમાં સન્માનજનક સ્થાન હતું. મહિલાઓ હવે ગુંડાઓથી ગભરાય છે. રાજ્ય સરકાર આ મુદ્દે અસંવેદનશીલ છે. 

મમતા સરકાર દબાણમાં 

આ કેસ મામલે માત્ર બંગાળ જ નહીં દેશના દરેક રાજ્યમાં સ્વાસ્થ્યકર્મીઓ હડતાળ તથા પ્રદર્શન કરીને વિરોધ કરી રહ્યા છે. મમતા સરકાર પર સતત ગંભીર આરોપ લાગી રહ્યા છે. પીડિતાના પરિજનો પણ રાજ્ય સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોવાનું જણાવી રહ્યા છે. ત્યાં IMA તથા પદ્મ વિજેતા તબીબો આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. 

પદ્મ વિજેતા જાણીતા તબીબોનો PMને પત્ર 

આ મુદ્દે હવે પદ્મ સન્માનિત તબીબો એક થઈને અવાજ ઉઠાવ્યો છે. પદ્મ પુરસ્કારથી સન્માનિત 71 તબીબોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. સાથે સાથે તબીબોની સુરક્ષા માટે અલગથી કાયદો બનાવવા માંગ કરી છે. ડૉક્ટર્સે પત્રમાં લખ્યું છે કે, 'આવા અત્યાચારોને રોકવા માટે કડક એક્શન લેવાની જરૂર છે. મહિલાઓ અને સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા તાત્કાલિક રોકવાની જરું છે. તબીબો તથા સ્વાસ્થ્ય કર્મીઓ વિરુદ્ધ થતી હિંસા/અત્યાચાર રોકવા માટે સરકારનો ખરડો તૈયાર છે પણ હજુ સુધી તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો નથી. આગ્રહ કરીએ છીએ તાત્કાલિક અધ્યાદેશ લાવી કાયદો બનાવવો જોઈએ અને ખરડો પસાર કરવો જોઈએ. જેથી સ્વાસ્થ્યકર્મીઓ નીડર થઈને કામ કરી શકે.' 

જે તબીબોએ આ પત્રમાં સહી કરી છે જેમાં એઇમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયા, ICMRના પૂર્વ ચીફ બલરામ ભાર્ગવ, એસ કે સરીન, ગંગારામ ટ્રસ્ટ સોસાયટીના ચેરમેન ડી. એસ. રાણા, અરવિંદ લાલ, મેદાન્તાના ચેરમેન નરેશ ત્રેહાન, ફોર્ટિસના ચેરમેન અશોક શેઠ, મહેશ વર્મા, યશ ગુલાટી, પુરુષોત્તમ લાલ જેવા જાણીતા તબીબોના નામ સામેલ છે. 



Google NewsGoogle News