કાયદો વ્યવસ્થા સુધારો નહિ તો...: નીતિન ગડકરીની મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
કાયદો વ્યવસ્થા સુધારો નહિ તો...: નીતિન ગડકરીની મુખ્યમંત્રી ભગવંત માનને ચેતવણી 1 - image


Nitin Gadkari warns Punjab CM: પંજાબમાં અવારનવાર આતંકી હુમલાથી લઈને ડ્રગ્સ-નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડાવવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક પ્રયાસો કરે છે, તકેદારી રાખે છે પરંતુ અવારનવાર આ બધુ થતું રહેતું હોય છે. જોકે કેન્દ્રીય રાજમાર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને અન્ય એક બાબતે ચેતવણી આપી છે.

ગડકરીએ પંજાબના મુખ્યમંત્રીને ચેતવણી આપતો એક પત્ર લખ્યો છે. ગડકરીએ કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. સ્ટેટ અને નેશનલ હાઈવે પર બની રહેલ હિંસક ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ આ ચેતવણી પત્ર લખ્યો છે. 

અત્રે નોંધનીય છે કે દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન કામ રોકવા માટે ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી હતી. રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી આ એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. તેનો એક ભાગ અમૃતસર સાથે પણ જોડવાનો છે. નીતિન ગડકરીએ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો પર થયેલા હુમલા અંગે નારાજગી વ્યક્ત કરી છે. લુધિયાણામાં પણ NHAI અધિકારીઓને આ પ્રોજેક્ટમાં રોકાયેલા સ્ટાફને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે.

ગડકરી પત્રમાં ખુલ્લી ચેતવણી આપી છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહિ સુધારવામાં આવે તો NHAI આઠ હાઇવે પ્રોજેક્ટ્સ રદ કરશે. પંજાબમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે ભારે હિંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ આઠ પ્રોજેક્ટની કુલ કિંમત 14288 કરોડ રૂપિયા છે.

જમીન અધિગ્રહણ પણ એક મુદ્દો :

નીતિન ગડકરીએ તેમના પત્રમાં જમીન અધિગ્રહણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. આ સિવાય તેમણે પુરાવા તરીકે આ પત્રની સાથે હુમલાની તસવીરો પણ મોકલી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રીએ સીધો હસ્તક્ષેપ કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે કડક પગલાં ભરવામાં આવે અને FIR નોંધીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તેવી વિનંતી છે.

નીતિન ગડકરીએ એક મહિના પહેલા હાઇવે પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજી હતી અને ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા અને જમીન સંપાદન મુદ્દાઓને ઉકેલવામાં આવશે. ગડકરીએ કહ્યું કે,કાયદો અને વ્યવસ્થા સુધારવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, બલ્કે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.  ગડકરીએ કહ્યું કે જમીન સંપાદનના બાકી મુદ્દાઓને કારણે પણ અનેક જગ્યાએ કોન્ટ્રાક્ટરોને નિશાન બનાવવામાં આવે છે. જો આમ જ ચાલુ રહેશે તો હાઈવેના આઠ પ્રોજેક્ટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. NHAIએ જમીનની ઉપલબ્ધતા ન હોવાને કારણે ત્રણ હાઇવે પ્રોજેક્ટ્સ પહેલાથી જ રદ કરી દીધા છે.


Google NewsGoogle News