ઉ.પ્રદેશમાં ચંડીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના ચાર ડબા ખડી પડયા : ચારનાં મોત

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
ઉ.પ્રદેશમાં ચંડીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના ચાર ડબા ખડી પડયા :  ચારનાં મોત 1 - image


- ટ્રેનને બપોરે ગોંડા નજીક અકસ્માત નડયો : 20 ઘાયલ

- લોકો પાયલોટે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો : લોકો પાયલોટના આ દાવા પછી કાવતરાના એન્ગલથી પણ તપાસ શરૂ કરાઇ

- મૃતકોના પરિવારજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2.5 લાખના વળતરની રેલવેની જાહેરાત

ગોંડા/નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં ગુરૂવારે ચંડીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી પડતા ચાર લોકોનાં મોત થયા છે અને અન્ય ૨૦ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન બ્રજેશ પાઠકે પત્રકારોને જણાવ્યું હતું કે અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા છે. ઉત્તર પ્રદેશ રિલીફ કમિશનર જી એસ નવીન કુમારે જણાવ્યું હતું કે અકસ્માતમાં ૨૦ લોકો ઘાયલ થયા છે. 

ગોંડા જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા શર્મા ઘટના સ્થળે પહોંચીને જણાવ્યું હતું કે ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. 

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટના સ્થળે રિલીફ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

રિલીફ કમિશનર કુમારના જણાવ્યા અનુસાર ૪૦ સભ્યોની મેડિકલ ટીમ અને ૧૫ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. 

લખનઉથી ૧૫૦ કિમી દૂર આવેલા ઘટના સ્થળે રેલવે તથા સ્થાનિક વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ટ્રેનના લોકો પાયલોટના જણાવ્યા અનુસાર અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લોકો પાયલોટ ત્રિભુવનના દાવા પછી રેલવેએ કાવતરાની દ્રષ્ટિએ પણ તપાસ શરૂ કરી છે. 

આ ઘટના બપોરે ૨.૩૭ કલાકે બની હતી. આ ટ્રેન ચંડીગઢથી ડિબ્રુગઢ તરફ જઇ રહી હતી.

 આ ઘટનામાં ટ્રેનના એસી ડબ્બા ડિરેલ થઇ પલટી ગયા હતાં. 

રેલવે મંત્રાલયે મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને ૨.૫ લાખ રૂપિયા અને સામાન્ય રીતે ઘાયલ થયેલાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. 


Google NewsGoogle News