રાજ્યપાલો રાજકીય પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં પૂર્વ રાજ્યપાલે રોષ ઠાલવ્યો

રાજ્યપાલ માટે વિધાનસભા દ્વારા એક પેનલ મોકલવી જોઈએ અને ઈન્ટર સ્ટેટ કાઉન્સિલે તે નિર્ણય કરવો જોઈએ

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
રાજ્યપાલો રાજકીય પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં પૂર્વ રાજ્યપાલે રોષ ઠાલવ્યો 1 - image


Former Governor Margaret Alva: જયપુરમાં ચાલી રહેલા લિટરેચર ફેસ્ટિવલમાં ભારત અને વિદેશોની જાણીતી હસ્તીઓ સામેલ થઈ રહી છે. લેખકો, સાહિત્યકારો, પત્રકારો, ફિલ્મ નિર્માતાઓ અને રાજકારણીઓ સહિત વિવિધ ક્ષેત્રના ઘણાં પ્રતિષ્ઠિત લોકો પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. લિટરેચર ફેસ્ટિવલના ત્રીજા દિવસે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ માર્ગારેટ આલ્વાએ રાજ્યપાલની નિમણૂક, તેમના કામ અને વિવાદો પર ખૂલીને વાત કરી હતી. માર્ગારેટ આલ્વાએ કહ્યું કે, 'રાજ્યોના રાજ્યપાલો ગૃહ રાજકીય પક્ષોની ભૂમિકા ભજવી રહ્યા છે. કોઈ પણ રાજકીય પક્ષ પ્રત્યે વફાદારીનું ફળ રાજ્યપાલના રૂપમાં મળે છે અને બાદમાં રાજ્યપાલ રાજકીય પક્ષની ભૂમિકામાં આવે છે. આ પદ્ધતિ બદલાવી જોઈએ.'

કેબિનેટની સલાહને નકારવી યોગ્ય નથી: માર્ગારેટ આલ્વા

માર્ગારેટ આલ્વાએ કહ્યું કે, 'ઘણી વખત એવું જોવા મળે છે કે રાજ્યપાલ કેબિનેટની સલાહને નકારી દે છે અને પછી રાજભવન અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ શરૂ થાય છે. આ સિસ્ટમની ભૂલ નથી. કેટલાક લોકોનું કહેવું છે કે રાજ્યપાલનું પદ બ્રિટિશ શાસનનું પ્રતીક છે. એવું  કહેવું યોગ્ય નથી. તેને સંઘીય માળખામાં અપનાવવું જરૂરી છે. સિસ્ટમ બદલવાની જરૂર નથી પણ રાજ્યપાલે પોતાની વિચારસરણી બદલવી જોઈએ. કેબિનેટની સલાહને મહત્ત્વ આપીને નિર્ણયો લેવા જોઈએ. ઘણાં રાજ્યોમાં એવું જોવા મળે છે કે રાજભવન રાજકીય પક્ષની ઓફિસની જેમ કામ કરે છે. રાજ્યપાલ સરકાર બનાવવા કે ન બનાવવા માટે રાજકીય ભૂમિકા ભજવી રહ્યા છે. આ બંધ થવું જોઈએ.

માર્ગારેટ આલ્વાએ પોતાના અનુભવોની વાત કરતા કહ્યું કે, ‘હું પાંચ વર્ષથી રાજભવનમાં છું. હું યુપીએ સરકાર તરફથી નોમિની હતી. કેન્દ્રમાં સરકાર બદલાયા બાદ હું રાજીનામું આપવા માટે વડાપ્રધાન પાસે ગઈ હતી. ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમે સારું કામ કરી રહ્યા છો તો પછી પદ છોડવાની વાત કેમ કરો છો. મને રાજ્યપાલ તરીકે યથાવત રખાઈ અને બાદમાં અન્ય બે રાજ્યોના વધારાના ચાર્જ પણ સોંપાયા. જો કોઈ રાજ્યપાલ સારું કામ કરશે તો તેના સારા પરિણામો મળે છે.'

રાજ્યપાલનું પદ વફાદારી બદલ મળે છે એ વાતનો જવાબ આપતા માર્ગારેટ આલ્વાએ કહ્યું કે 'એ વાત સાચી છે કે રાજ્યપાલનું પદ રાજકીય પક્ષ પ્રત્યે વફાદારીના ઈનામ તરીકે અપાય છે. આવું હંમેશા થતું રહ્યું છે પરંતુ ભાજપ દ્વારા અપાયેલી સલાહ સારી હતી. રાજ્યપાલ માટે વિધાનસભા દ્વારા એક પેનલ મોકલવી જોઈએ અને ઈન્ટર સ્ટેટ કાઉન્સિલે તે નિર્ણય લેવો જોઈએ. રાજ્યપાલ રાજકીય પક્ષ તરીકે કામ ન કરે તે માટે કોઈપણ વિકલ્પ પર વિચાર કરી શકાય છે.'


Google NewsGoogle News