ચૂંટણીમાં 'ડિપોઝિટ જપ્ત' થઈ જવી એટલે શું, ક્યાં જતાં રહે છે નેતાજીના પૈસા? જાણો વિગતવાર

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં 'ડિપોઝિટ જપ્ત' થઈ જવી એટલે શું, ક્યાં જતાં રહે છે નેતાજીના પૈસા? જાણો વિગતવાર 1 - image


Lok Sabha Elections 2024: 19 એપ્રિલથી જ લોકસભાની ચૂંટણીનો પહેલો તબક્કો શરુ થઇ જશે.  જેમાં માટે નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ છેલ્લી લોકસભાની ચૂંટણીમાં 86 ટકા ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઇ ગઈ હતી. ચૂંટણી પંચના ડેટા પરથી જાણવા મળે છે કે 1951-52 થી 2019 સુધીની લોકસભા ચૂંટણીમાં કુલ 91,160 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી  71,246 ઉમેદવારોની એટલે કે લગભગ 78 ટકા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. 

કેટલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ?

ચૂંટણી પંચના ડેટા અનુસાર, પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કુલ 1874 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 745 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ તો 1217 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી 344 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી.

વર્ષ 2019માં સૌથી ખરાબ હાલત બસપાની 

કન્ડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ, 1961 અંતર્ગત ડિપોઝિટ જપ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 2019ની લોકસભા ચૂંટણીમાં માત્ર 14 ટકા ઉમેદવારોની જ ડિપોઝિટ જપ્ત થતા બચી હતી. 86 ટકા ડિપોઝિટ ગુમાવનારા મોટા ભાગના ઉમેદવારો બહુજન સમાજ પાર્ટીના હતા. જેમાં 383 ઉમેદવારોમાંથી 345ની ડિપોઝિટ જપ્ત થઇ હતી. 421 માંથી 148 કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઇ હતી. કન્ડક્ટ ઑફ ઇલેક્શન રૂલ્સ, 1961 અંતર્ગત ડિપોઝિટ જપ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. 

ડિપોઝિટ જપ્ત થાય એટલે શું અને કેમ આપવી પડે?

ચૂંટણી પંચના નિયમો મુજબ, જો ઉમેદવાર કુલ માન્ય મતોના ઓછામાં ઓછા છઠ્ઠા ભાગના મત એટલે કે 16.6 ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય, તો ઉમેદવારની ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. આ પછી તેના દ્વારા જમા કરવામાં આવેલી રકમ સરકારની તિજોરીમાં જાય છે. લોકસભાની ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ. 25,000  અને SC, ST કેટેગરીના ઉમેદવારોએ રૂ. 12,500 સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહે છે. આ ડિપોઝિટ લેવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ડિપોઝિટ ભરવાથી ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાથી ભાગ લે, જેથી ચૂંટણી પ્રક્રિયા સરળ બને. 

કઈ સ્થિતિમાં ડિપોઝિટ પાછી મળે?

જો મતદાન પહેલા જ ઉમેદવાર મૃત્યુ પામે અથવા તેની ઉમેદવારી રદ થાય કે પછી તે ચૂંટણી પંચે નક્કી કરેલા સમયમાં જ ઉમેદવારી પછી ખેંચી લે છે તો તે ડિપોઝિટ પાછી મળી જાય છે. આ સિવાય ઉમેદવાર 16.6 ટકા મત ના મેળવે છતાં તે જીતી જાય તો પણ તેને ડિપોઝિટ પાછી મળી રહે છે. 

કોંગ્રેસે હાંસલ કરી હતી જંગી બહુમતી

પહેલી લોકસભા ચૂંટણી 25 ઓક્ટોબર 1951 થી 21 ફેબ્રુઆરી 1952 સુધી યોજાઈ હતી. તેમાં કુલ 489 બેઠકો હતી. જો કે, તે સમયે મતદાન માટે લઘુત્તમ વય 21 વર્ષ હતી. હવે તે 18 વર્ષનો છે. આ ચૂંટણીમાં 54 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જેમાં 14 રાષ્ટ્રીય પક્ષો અને બાકીના પ્રાદેશિક અને સ્વતંત્ર પક્ષો સામેલ હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને પ્રથમ ચૂંટણીમાં જંગી બહુમતી મળી હતી. કોંગ્રેસને 364 બેઠકો મળી હતી.

દેશની સરકાર ચોથી જૂને નક્કી થશે

લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ સાથે રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. જ્યારે બીજેપીની આગેવાની હેઠળના એનડીએએ 400 સીટનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન સખત લડત આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને નક્કી થશે કે ઇન્ડિયા ગઠબંધન કે NDA સરકાર બનાવશે.

ચૂંટણીમાં 'ડિપોઝિટ જપ્ત' થઈ જવી એટલે શું, ક્યાં જતાં રહે છે નેતાજીના પૈસા? જાણો વિગતવાર 2 - image


Google NewsGoogle News