50 વર્ષ પહેલા કઈ રીતે શ્રીલંકાને સોંપી દેવાયો દ્વીપ? જયશંકરે કોંગ્રેસ-DMK પર સાધ્યું નિશાન

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
50 વર્ષ પહેલા કઈ રીતે શ્રીલંકાને સોંપી દેવાયો દ્વીપ? જયશંકરે કોંગ્રેસ-DMK પર સાધ્યું નિશાન 1 - image


Image Source: Twitter

કચ્ચાથિવુ દ્વીપ મુદ્દે કેન્દ્ર સરકાર પાછળ હટવાના મૂડમાં નથી. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બાદ આજે વિદેશ મંત્રી જયશંકરે પણ પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે કહ્યું કે 1974 માં, ભારત અને શ્રીલંકાએ એક કરાર કર્યો હતો જ્યાં તેઓએ દરિયાઈ સીમા ખેંચી હતી અને દરિયાઈ સીમા ખેંચતી વખતે, કચ્ચાથિવુને સરહદની શ્રીલંકા તરફ રાખવામાં આવ્યુ હતું. જયશંકર આટલામાં જ ન અટક્યા. તેમણે તમિલનાડુ સરકાર DMK પર પણ પ્રહાર કર્યા. વિદેશ મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અને DMKએ આ બાબતને એવી રીતે લીધી છે કે જાણે તેમની કોઈ જવાબદારી નથી.

કચ્ચાથિવુ દ્વીપ પર બીજેપીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન

વિદેશ મંત્રી એસ જયશંકર પહેલા પીએમ મોદીએ પણ કચ્ચાથિવુ દ્વીપ પર નિશાન સાધી ચૂક્યા છે. જયશંકરની આજની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યત્વે કોંગ્રેસ પર નિશાન પર રહી હતી. જયશંકરે 1974માં થયેલા એ કરારની વાત પુનરાવર્તિત કરતા કહ્યું કે તે વર્ષે ભારત અને શ્રીલંકા વચ્ચે કરાર થયો હતો. બંને દેશોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ તત્કાલીન કોંગ્રેસ સરકારે દરિયાઈ સીમા ખેંચી અને દરિયાઈ સીમા ખેંચવામાં કચ્ચાથિવુ સરહદના શ્રીલંકા તરફ રાખવામાં આવ્યું હતું. જયશંકરે આગળ કહ્યું કે, અમને ખબર છે કે આ કોણે કર્યું અમને એનથી ખબર કે કોણે છુપાવ્યું. અમારું માનવું છે કે, જનતાને એ જાણવાનો અધિકાર છે કે, આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ.

મેં 21 વખત આ મુદ્દા પર પોતાનો જવાબ આપ્યો છે: જયશંકર

જયશંકરે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, છેલ્લા 20 વર્ષમાં 6,184 ભારતીય માછીમારોની શ્રીલંકા દ્વારા  અટકાયત કરવામાં આવી છે અને તે જ સમયગાળા દરમિયાન શ્રીલંકા દ્વારા 1,175 ભારતીય માછીમારી બોટ જપ્ત કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં કચ્ચાથિવુ અને માછીમારોનો મુદ્દો સંસદમાં વિવિધ પાર્ટીઓ દ્વારા વારંવાર ઉઠાવવામાં આવ્યો છે. તે સંસદના સવાલો, ચર્ચાઓ અને સલાહકાર સમિતિઓમાં સામે આવ્યો છે. તમિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રીએ મને ઘણી વખત પત્ર લખ્યો છે અને મારો રેકોર્ડ દર્શાવે છે કે મેં આ મુદ્દે હાલના મુખ્યમંત્રીને 21 વખત જવાબ આપી ચૂક્યો છું. આ એક જીવંત મુદ્દો છે જેના પર સંસદ અને તમિલનાડુ વર્તુળોમાં ખૂબ ચર્ચાઓ થઈ છે. આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે પત્રવ્યવહારનો વિષય બન્યો છે.

જયશંકરે 1974માં થયેલા કરારની કહાની જણાવી

જયશંકરે કહ્યું કે બે વર્ષથી ઓછા સમયમાં ભારત અને શ્રીલંકા વચ્ચે અન્ય એક કરાર થયો. આ કરારમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો માટે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન બનાવવાથી ભારત અને શ્રીલંકાને તેમના EEZમાં લિવિંગ અને નોન લિવિંગ રિસોર્સ પર એક્સક્લુઝિવ અધિકારો પ્રાપ્ત થશે. આ સાથે જ એ પણ કે, ભારતીય માછીમારો અને ફિશિંગ બોટ શ્રીલંકાના ટેરિટોરિયલ વોટરમાં અને તેમના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશી નહીં શકશે. જયશંકરે કહ્યું કે 1974માં આશ્વાસન આપવામાં આવ્યું હતું અને પછી 1976માં એક કરાર કરવામાં આવ્યો હતો જેમાં આ આશ્વાસન તોડી નાખવામાં આવ્યું હતું. 

એસ જયશંકરે કહ્યું કે, 2006માં સંસદમાં તત્કાલિન મંત્રી ઈ. અહમદે જવાબ આપ્યો કે, 1974ના કરાર જેમાં ભારત અને શ્રીલંકાની દરિયાઈ સીમા નક્કી કરવામાં આવી હતી અને આ મુદ્દે 1976માં જે લેટર એક્સચેન્જ કરવામાં આવ્યો તેમાં કહેવામાં આવ્યું કે, ભારતના માછીમારો અને ફિશિંગ બોટ શ્રીલંકાના વોટર અને EEZ માં નહીં જશે. જયશંકરે કહ્યું કે, સરકારે સતત આ પોઝિશન લીધી. તેની અસર એ થઈ કે છેલ્લા 20 વર્ષમાં 6184 ભારતીય માછીમારોને શ્રીલંકાએ ડિટેન કર્યા. આ સાથે જ 1175 ભારતીય ફિશિંગ બોટને પણ જપ્ત કરવામાં આવી હતી.

જ્યારે સરહદ વિવાદ થાય ત્યારે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવે છે.....

આરટીઆઈ પાસેથી મળેલી માહિતીનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે ભારતે કચ્ચાથિવુ પર પોતાનો દાવો કર્યો કે અહીં સતત ભારતીય માછીમારો જઈ રહ્યા છે. કોઈ એવો દસ્તાવેજ નથી જે એ દર્શાવે કે, તે શ્રીલંકા પાસે હતું. શ્રીલંકાનો દાવો છે કે તેમનો દાવો સાચો છે. જ્યારે ભારત અને શ્રીલંકા આઝાદ થયા ત્યારે આ મુદ્દો લશ્કરી મુદ્દો પણ બન્યો કે આ દ્વીપનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. 1960ના દાયકામાં આ મુદ્દો ઉઠ્યો ત્યારે તેના અંગે ઘણી ચર્ચાઓ થઈ. 1974માં થયેલા કરાર પહેલા શ્રીલંકાના વડાપ્રધાન ભારતના તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીને મળવા આવ્યા હતા.

તેમણે કહ્યું કે જ્યારે પણ સરહદ વિવાદ થાય છે ત્યારે કાયદાકીય અભિપ્રાય લેવામાં આવે છે. તે સમયે પણ એટર્ની જનરલ પાસેથી કાયદાકીય અભિપ્રાય લેવામાં આવ્યો હતો. એટર્ની જનરલ અને વિદેશ મંત્રાલયના કાનૂની વિભાગે પણ તે સમયે તેમના અભિપ્રાયમાં કહ્યું હતું કે કચ્ચાથિવુ ભારતનું છે અને જો ભારતનો દાવો સંપૂર્ણ રીતે નક્કર દેખાતો નથી તો ઓછામાં ઓછું ભારતે ભારતીય માછીમારોના ત્યાં આવવા-જવાના અને ફિશિંગના અધિકારો લેવા જ જોઈએ. જયશંકરે કહ્યું કે ભારતના અધિકારો એટલા માટે ચાલ્યા ગયા કારણ કે તત્કાલીન કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકારે તેની પરવા નહોતી કરી. 


Google NewsGoogle News