પહેલા ‘નિર્ભયા’ અને હવે ‘અપરાજિતા’, મહિલાઓ સામેના જઘન્ય ગુના પછી કાયદા બદલાયા પણ...

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
પહેલા ‘નિર્ભયા’ અને હવે ‘અપરાજિતા’, મહિલાઓ સામેના જઘન્ય ગુના પછી કાયદા બદલાયા પણ... 1 - image


Image: Freepik

Aparajita Bill: કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે રેપ અને હત્યા બાદ મહિલા સુરક્ષાને લઈને મમતા સરકારે નવું બિલ પાસ કર્યું છે. આ બિલમાં રેપ અને ગેંગરેપ સંબંધિત મામલામાં ઝડપથી તપાસ પૂરી કરવા અને ટ્રાયલ ખતમ કરવાની જોગવાઈ છે. આ સિવાય રેપ અને ગેંગરેપના તમામ દોષિતો માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

અપરાજિતા વુમન એન્ડ ચાઈલ્ડ (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ) બિલ 2024 નામથી આવ્યુ. જો આ બિલ કાયદો બનાવે છે તો આ સમગ્ર બંગાળમાં લાગુ થઈ જશે. આ સુધારા દ્વારા મહિલાઓ અને બાળકોની સાથે થતાં યૌન શોષણને બિનજામીનપાત્ર બનાવી દેવાયા છે.

મમતા સરકારનું નવું બિલ ભારતીય દંડ સંહિતા (BNS), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) માં સુધારો કરે છે.

આ બિલમાં રેપ અને ગેંગરેપના તમામ દોષિતો માટે ફાંસીની સજાની જોગવાઈ છે. આ સાથે જ આવા મામલામાં પોલીસને 21 દિવસમાં તપાસ પૂરી કરવાની રહેશે. જો નક્કી સમય પર તપાસ પૂરી ન થાય તો 15 દિવસનો સમય વધુ માગી શકે છે પરંતુ કોર્ટમાં મોડાઈનું કારણ જણાવવું પડશે. મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા યૌન શોષણના મામલે ચાર્જશીટ દાખલ થયાના એક મહિનાની અંદર ટ્રાયલ પૂરી કરવી પડશે. 

જોકે, હજુ આ બિલ માત્ર વિધાનસભામાં પાસ થયુ છે અને તેને કાયદો બનાવવા માટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની બાકી છે.

આ પહેલી વખત નથી કે જ્યારે મહિલા સુરક્ષાને લઈને કાયદામાં ફેરફાર કરવો પડ્યો છે. આ પહેલા પણ રેપિસ્ટોને આકરી સજા આપવાના હેતુંથી કાયદો બદલાઈ ચૂક્યો છે. અમુક રાજ્યોએ પણ કાયદામાં ફેરફાર કર્યો છે પરંતુ કાયદો બદલ્યા છતાં સ્થિતિ બદલાઈ નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા દર્શાવે છે કે હજુ પણ દેશમાં દરરોજ 86 રેપ થાય છે. 

નિર્ભયા કાંડ બાદ રેપિસ્ટોને મોતની સજા

16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીના રસ્તા પર ચાલુ બસમાં યુવતી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નરાધમોએ તમામ હદ વટાવી દીધી હતી. બાદમાં તે યુવતીનું મોત નીપજ્યુ હતું. આ કાંડે દેશને હચમચાવી દીધો હતો.

નિર્ભયા કાંડ બાદ કાયદાને ખૂબ કડક કરી દેવાયો હતો. રેપની પરિભાષા પણ બદલી દેવાઈ હતી જેથી મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ઘટાડો લાવી શકાય. પહેલા બળજબરી કે અસંમતિથી બનાવેલા સંબંધોને જ રેપના દાયરામાં લાવવામાં આવતા હતાં પરંતુ આ ઘટના બાદ 2013માં કાયદામાં સુધારો કરીને તેનો દાયરો વધારવામાં આવ્યો. તેને નિર્ભયા એક્ટ પણ કહેવામાં આવે છે. 

એટલું જ નહીં, જુવેનાઈલ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. તે બાદ જો કોઈ 16 વર્ષ અને 18 વર્ષથી નાની ઉંમરનો કોઈ કિશોર જઘન્ય ગુનો કરે છે તો તેની સાથે પુખ્તની જેમ જ વર્તન કરવામાં આવશે. આ સુધારો એટલા માટે થયો હતો કેમ કે નિર્ભયાના છ દોષિતોમાંથી એક સગીર હતો અને ત્રણ વર્ષમાં જ મુક્ત થઈ ગયો હતો.

આ સિવાય રેપના કેસોમાં મોતની સજાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. તે બાદ જો રેપ બાદ પીડિતાનું મોત નીપજે છે કે પછી તે કોમા જેવી સ્થિતિમાં પહોંચી જાય છે તો દોષિતને ફાંસીની સજા પણ આપવામાં આવી શકે છે.

જોકે, આ બધા છતાં સુધારો થયો નથી. આંકડા દર્શાવે છે કે 2012થી પહેલા દર વર્ષે રેપના સરેરાશ 25 હજાર કેસ નોંધવામાં આવતા હતાં. પરંતુ તે બાદ આ આંકડો 30 હજારની ઉપર પહોંચી ગયો. 2013માં જ 33 હજારથી વધુ કેસ નોંધાયા હતાં. 2016માં તો આ આંકડો 39 હજાર નજીક પહોંચી ગયો હતો.

5 વર્ષ પહેલા આંધ્ર પ્રદેશમાં પણ કાયદો બદલાયો હતો

27 નવેમ્બર 2019એ આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદમાં 27 વર્ષની યુવતીની રેપ બાદ હત્યા કરી દેવાઈ હતી. તેને 'દિશા' નામ આપવામાં આવ્યુ હતું. કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી પરંતુ બાદમાં ચારેય એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતાં. ચારેયે પોલીસની કસ્ટડીથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. 

દિશા કેસ બાદ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થયા હતાં. આ કાંડ બાદ આંધ્ર પ્રદેશ સરકારે રેપ અને ગેંગરેપના કેસોમાં કડક સજાને લઈને નવું બિલ રજૂ કર્યું હતું. આને દિશા બિલ નામ આપવામાં આવ્યુ હતું. જેના હેઠળ ક્રિમિનલ લો માં સુધારો કરવામાં આવ્યો હતો.

દિશા બિલમાં રેપ અને ગેંગરેપના મામલામાં 21 દિવસમાં સજા સંભળાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. બિલમાં જોગવાઈ હતી કે 7 દિવસમાં તપાસ પૂરી કરવી અને 14 દિવસમાં ટ્રાયલ ખતમ કરી સજા સંભળાવવી પડશે. આ બિલમાં રેપિસ્ટો માટે ફાંસીની સજાની જોગવાઈ હતી. એટલું જ નહીં આ બિલમાં એ પણ જોગવાઈ હતી કે જો કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર મહિલાને હેરાન કરે છે તો તેને 2 વર્ષની જેલની સજા હશે. 

જોકે, આ બિલ હજુ સુધી કાયદો બનાવી શક્યો નથી. રિપોર્ટ અનુસાર આંધ્ર પ્રદેશના દિશા બિલને હજુ સુધી રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી નથી.

એનસીઆરબીના આંકડા દર્શાવે છે કે આંધ્ર પ્રદેશમાં 2019માં રેપના 1,086 કેસ નોંધાયા હતાં જ્યારે 2020માં 1,095 કેસ સામે આવ્યા હતાં. જોકે, 2019ની તુલનામાં 2022માં રેપના કેસોમાં મોટો ઘટાડો આવ્યો હતો. 2022માં રેપના 621 કેસ નોંધાયા હતાં.

રેપના કેટલા કેસમાં સજા?

એનસીઆરબીના આંકડા અનુસાર રેપના કેસમાં સજા મળવાનો દર 27 થી 28 ટકા છે. એટલે કે રેપના 100 માંથી 27 કેસમાં જ આરોપી દોષિત સાબિત થઈ શકે છે. બાકી મામલામાં આરોપીઓને મુક્ત કરી દેવામાં આવે છે.

રિપોર્ટ જણાવે છે કે 2022ના અંત સુધી સમગ્ર દેશની કોર્ટમાં રેપના લગભગ બે લાખ કેસ પડતર હતાં. 2022માં તેમાંથી સાડા અઢાર હજાર કેસોમાં જ ટ્રાયલ પૂરી થઈ. જે કેસમાં ટ્રાયલ પૂરી થઈ. તેમાંથી લગભગ 5 હજાર કેસોમાં જ દોષિતને સજા આપવામાં આવી. જ્યારે 12 હજારથી વધુ કેસોમાં આરોપીને મુક્ત કરી દેવાયા.

એટલું જ નહીં રેપના મામલે ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં 24 વર્ષમાં પાંચ દુષ્કર્મીઓને જ ફાંસીની સજા મળી છે. 2004માં ધનંજય ચેટર્જીને 1990ના રેપ કેસમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે માર્ચ 2020માં નિર્ભયાના ચાર દોષિતો- મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. 

રેપને લઈને કાયદો શું છે?

ભારતીય દંડ સંહિતાની કલમ 65માં જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ 12 વર્ષથી નાની ઉંમરની બાળકીની સાથે દુષ્કર્મનો દોષિત સાબિત થાય છે તો તેને 20 વર્ષની જેલથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે. તેમાં પણ આજીવન કેદની સજા ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દોષિત જીવિત રહેશે. આવા મામલે દોષિત સાબિત થવા પર મોતની સજાની જોગવાઈ પણ છે. આ સિવાય દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

ગેંગરેપના મામલામાં દોષિત સાબિત થવા પર 20 વર્ષથી લઈને આજીવન કેદ અને દંડની સજાની જોગવાઈ છે. બીએનએસની કલમ 70(2) હેઠળ, સગીરાની સાથે ગેંગરેપના દોષિત સાબિત થવા પર આજીવન કેદની સજા તો થશે જ સાથે જ મોતની સજા પણ થઈ શકે છે. આવા મામલે દંડની પણ જોગવાઈ છે.

બીએનએસની કલમ 66 હેઠળ જો રેપના મામલામાં મહિનાનું મોત થઈ જાય છે કે પછી તે કોમા જેવી સ્થિતિમાં પહોંચી જાય છે તો દોષિતને 20 વર્ષની સજા થશે. આ સજાને વધારીને આજીવન કેદ કે પછી મોતની સજામાં પણ બદલી શકાય છે.

આ સિવાય સગીરોની સાથે થતાં યૌન શોષણને રોકવા માટે 2012માં પોક્સો એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. કાયદામાં પહેલા મોતની સજા નહોતી પરંતુ 2019માં તેમાં સુધારો કરીને મોતની સજાની પણ જોગવાઈ કરી દેવાઈ. આ કાયદા હેઠળ આજીવન કેદની સજા મળે છે તો દોષિતને આખું જીવન જેલમાં જ પસાર કરવા પડશે. તેનો અર્થ એ થયો કે દોષિત જેલથી જીવિત બહાર આવી શકતો નથી. 


Google NewsGoogle News