mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

‘EVM કોઈ OTPથી અનલૉક કે ડિવાઈસ સાથે કનેક્ટ ના થઈ શકે’, ચૂંટણી પંચે હેકિંગના આક્ષેપ ફગાવ્યા

Updated: Jun 16th, 2024

‘EVM કોઈ OTPથી અનલૉક કે ડિવાઈસ સાથે કનેક્ટ ના થઈ શકે’, ચૂંટણી પંચે હેકિંગના આક્ષેપ ફગાવ્યા 1 - image

EVM Controversy : ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) મુદ્દે ફરી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મુંબઈ પોલીસે શિંદેની શિવસેનાના સાંસદ રવિન્દ્ર વાયકરના સંબંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યા બાદ ઈવીએમની વિશ્વસનીયતા સવાલોની જાળમાં ફસાઈ ગઈ છે. આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સહિતના વિપક્ષી નેતાઓ ચૂંટણી પંચ (Election Commission) અને સરકાર પર આંગળી ચીંધી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજી વિપક્ષી નેતાઓના તમામ આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ઈવીએમને કોઈ પણ પ્રકારના ઓટીપીથી અનલૉક થતું નથી. 

ચૂંટણી પંચે વિપક્ષોના આક્ષેપોને ફગાવ્યા

આ વિવાદ પછી ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસર વંદના સૂર્યવંશીએ કહ્યું કે, ‘આજે EVM અનલૉક અંગેના કેટલાક અહેવાલો સામે આવ્યા છે અને તે અંગે કેટલાક લોકોએ ટ્વિટ કર્યા છે. જો કે ઈવીએમ ઓટીપીથી અનલૉક થતું નથી. ઈવીએમ ડિવાઈસ ક્યાં પણ કનેક્ટ નથી. હાલ જે અહેવાલો ચાલી રહ્યા છે, તે સંપૂર્ણ ખોટા છે. ઈવીએમ સ્ટેન્ડઅલોન સિસ્ટમ છે. ઈવીએમના અહેવાલો સંપૂર્ણ ખોટા છે. અમે કેટલાક મીડિયા હાઉસને નોટિસ ઈશ્યૂ કર્યા છે.  આઈપીસીની કલમ 499  હેઠળ માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. મેં સમાચાર પત્રના રિપોર્ટરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે આઈપીસીની કલમ 505 અને 499 હેઠળ તેમને નોટિસ મોકલીશું. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી ગૌરવ કુમારને મોબાઈલ રાખવાની મંજૂરી આપી હતી, તે તેમનો પોતાનો મોબાઈલ હતો. પોલીસની તપાસ બાદ અમે આંતરિક તપાસ કરીને આખરી નિર્ણય કરાશે.

કોર્ટના ઓર્ડર વગર નહીં આપીએ CCTV ફુટેજ

સીસીટીવી ફૂટેજ અંગે તેમણે કહ્યું કે, ‘અમે કોર્ટના ઓર્ડર વગર કોઈને પણ સીસીટીવી ફૂટેજ નહીં આપીએ, પોલીસને પણ નહીં. ઈવીએમ કોઈ પ્રોગ્રામ માટે નથી અને તે હેક પણ કરી શકાતું નથી. ચૂંટણી પંચની ફરિયાદ બાદ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે.’

શિંદેના સાંસદના કારણે EVM પર ઉઠ્યા સવાલો

વાસ્તવમાં લોકસભા ચૂંટણી દરમિયાન મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા મામલે મુંબઈ પોલીસે શિવસેના શિંદે જૂથના સાંસદ રવિન્દ્ર વાયકરના સાળા મંગેશ પાંડિલકર વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ ઉપરાંત પોલીસે પાંડિલકરને મોબાઈલ આપનારા ચૂંટણી પંચના એક કર્મચારીની સામે પણ કેસ નોંધ્યો છે.  પોલીસ ફરિયાદ મુજબ ગોરેગાંવ ચૂંટણી સેન્ટરની અંદર મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં રવિન્દ્ર વાયકર (Ravindra Vaikar)ના સાળા પાંડિલકરે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ઉત્તર પશ્ચિમ બેઠક પર ચૂંટણી લડનારા ઉમેદવારો અને ચૂંટણી આયોગ દ્વારા પોલીસને ફરિયાદો મળી હતી, જેના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. આ બેઠક પર રિકાઉન્ટિંગ થયા બાદ વાયકર માત્ર 48 મતોથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ ઘણો વિવાદ પણ થયો હતો.

ચૂંટણી પંચ પાસે ઘટનાસ્થળના CCTV

સૂત્રના જણાવ્યા મુજબ મતગણતરી વખતે જે મોબાઈલમાં OTP જનરેટ થાય છે, તે મોબાઈલ ચૂંટણી અધિકારી ગૌરવ કુમારના બદલે સાંસદના સાળા પાંડિકલકર પાસે હતો અને તે ત્યાં મોબાઈલનો ઉપયોગ કરતો હતો. પોલીસને આશંકા છે કે, જ્યારે જોરદાર ટક્કર ચાલતી હતી, ત્યારે તેણે સવારથી સાંજે 4.30 સુધી ફોનનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ પાસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ પણ છે, જે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હોવાનો અહેવાલો સામે આવ્યા હતા. આ કેસની તપાસ કરવા માટે મુંબઈ પોલીસ (Mumbai Police)ને ત્રણ ટીમો બનાવાઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ફોન જપ્ત કર્યા બાદ પોલીસે ફોનના સીડીઆર મેળવી રહી છે અને તમામ મોબાઈલ નંબરોની પણ તપાસ કરી રહી છે.

મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા?

ફોન જપ્ત કર્યા બાદ પોલીસ જાણવા માંગે છે કે, કોને કોને ફોન કરવામાં આવ્યા અને મોબાઈલ પર કેટલા ઓટીપી આવ્યા? પોલીસે એ પણ જાણવા માંગે છે કે, આ મોબાઈલ પર ફોન આવ્યા હતા કે નહીં? નિયમો મુજબ ઓટીપી જનરેટ થયા બાદ મોબાઈલ આરઓ (રિટર્નિંગ ઓફિસર)ને સોંપવામાં હોય છે. હાલ મોબાઈલ પરત કેમ ન લેવામાં આવ્યો, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ મોબાઈલને ફોરેન્સિંગ લેબમાં મોકલી દેવાયો અને છે અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આદિત્ય અને અખિલેશે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

આ ઘટના સામે આવ્યા બાદ શિવસેના યુબીટી (Shiv Sena UBT)ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray)એ ચૂંટણી પંચ પર નિશાન સાધી કહ્યું છે કે, ECનો નવો અર્થ ‘Entirely Compromised (સંપૂર્ણપણે સમાધાન)’ છે, ચૂંટણી પંચ નહીં. જ્યારે  સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) કહ્યું કે, ‘ટેકનોલોજીનો ઉપયોગ સમસ્યાઓ દુર કરવા માટે થાય છે, જો તે મુશ્કેલી બની જાય, તો તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આજે વિશ્વભરના ઘણા દેશોમાં ઈવીએમમાં ગડબડી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જાણિતા ટેકનોલોજી નિષ્ણાતો ઈવીએમમાં હેરાફેરીના ખતરા અંગે જાહેરમાં લખી રહ્યા છે. જો આવું જ હોય તો ઈવીએમનો ઉપયોગ કરવાની જીદ કેમ કરવામાં આવી રહી છે? ભાજપ આ અંગે સ્પષ્ટ જવાબ આપે. અમે ફરી માંગ કરી રહ્યા છે કે, આગામી તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી કરવામાં આવે.’

કોંગ્રેસે પણ ઉઠાવ્યા ઈવીએમ પર સવાલ

કોંગ્રેસે (Congress) પણ ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ સેર કરી છે. કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે, ‘ઈવીએમ સંબંધીત વધુ એક મામલો સામે આવ્યો છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન EVM સાથે જોડાયેલો હતો. વાયકરની માત્ર 48 મતોથી જીત થઈ છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે, આખરે એનડીએના ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ઈવીએમ સાથે કેમ જોડાયેલો હતો? જ્યાં મતગણતરી ચાલી રહી હતી, ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? શંકા ઉભી કરનારા પ્રશ્નો ઘણા છે. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરવી જોઈએ.’

રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ ઘટનાને ગંભીર ગણાવી કહ્યું છે કે, ‘ભારતમાં ઈવીએમ એક બ્લેક બૉક્સ છે અને તેની તપાસ કરવાની કોઈને પણ મંજૂરી નથી. આપણી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ઘણી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંસ્થાઓમાં જવાબદારીના અભાવના કારણે લોકશાહી એક દેખાડો બની જાય છે અને છેતરપિંડીની સંભાવના વધી જાય છે.’


Gujarat