બિહાર NDAમાં બધું બરાબર તો છે ને? માંઝીના નીતીશ કુમાર પર કટાક્ષથી ફરી તર્કવિતર્ક

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
બિહાર NDAમાં બધું બરાબર તો છે ને? માંઝીના નીતીશ કુમાર પર કટાક્ષથી ફરી તર્કવિતર્ક 1 - image


Image Source: Twitter

પટના, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર

બિહારમાં એનડીએ સરકારની રચના બાદ બહુમત પરીક્ષણ દરમિયાન હિન્દુસ્તાન આવામ મોર્ચા (હમ) ના અધ્યક્ષ જીતનરામ માંઝીની પાર્ટી બદલવાની અટકળો લગાવાઈ રહી હતી પરંતુ તેઓ એનડીએની સાથે રહ્યા. હવે આ મુદ્દે માંઝીએ એક કાર્યક્રમમાં નીતીશનું નામ લેતા મોટુ નિવેદન આપ્યુ છે.

જીતનરામ માંઝીએ કાર્યક્રમ દરમિયાન નીતીશ કુમાર પર કટાક્ષ કરતા કહ્યુ, તમે અમને સીએમ બનાવ્યા હતા અને અમે તમારી સરકાર બચાવી હવે સરકાર બચાવીને અહેસાન ચૂકવી દીધુ છે. 

પૂર્વ સીએમ માંઝીએ કહ્યુ, બીજાના ચક્કરમાં પડીને મને બહાર કરી દેવાયો હતો. 122 વોટ જોઈતા હતા બિહાર એસેમ્બલીમાં સરકાર બનાવવા માટે અત્યારે 125 વોટ આવ્યા અને તેમાંથી 4 વોટ અમારા હતા, જો આ 4 વોટ હટી જાત તો 121 વોટ જ તેમની પાસે હોત. અમે સાથ આપ્યો, જો સાથ ન આપત તો નીતીશજીની સરકાર પડી જાત. મને CM બનાવ્યો હતો તેમણે તો હવે હુ કહી શકુ કે મે પણ મારુ અહેસાન ચૂકવી દીધુ છે.

જ્યારે નીતીશે માંઝીને અપમાનિત કર્યા હતા

નીતીશ કુમાર જ્યારે મહાગઠબંધનમાં સામેલ હતા તો વિધાનસભામાં માંઝીને લઈને ખૂબ નારાજ થઈ ગયા હતા. તેમણે માંઝીને અપમાનિત કરતા કહ્યુ હતુ કે આને કોણ ઓળખતુ હતુ. આ મારી મૂર્ખતાના કારણે સીએમ બની ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ગૃહમાં બિહાર સરકારના જાતિગત સર્વે પર પ્રશ્ન ઉઠવા પર નીતીશ કુમાર નારાજ થઈ ગયા હતા. નીતીશ પોતાની સીટ પર ઊભા થયા અને કહ્યુ, આ કહે છે કે તે મુખ્યમંત્રી હતા, મારી મૂર્ખતાના કારણે મુખ્યમંત્રી બન્યા, આને કોઈ સમજણ છે? માંઝી માત્ર 9 મહિના જ સીએમ પદ પર રહી શક્યા હતા અને તેમને નીતીશ કુમારના દબાણમાં રાજીનામુ આપવુ પડ્યુ હતુ. 


Google NewsGoogle News