કેરળ બ્લાસ્ટમાં સામે આવી મોટી અપડેટ, IED ડિવાઈસનો થયો હતો ઉપયોગ, DGPએ ઘટના અંગે કર્યા ખુલાસા
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
Ernakulam Blast : કેરળના અર્નાકુલમમાં ક્લામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ મોટા બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 36 લોકો ઘાયલ થયાના અહેવાલ છે ત્યારે આ બ્લાસ્ટની ઘટના પર કેરલ ડીજીપીનું નિવેદન સામે આવ્યું છે તેમજ કોંગ્રેસના સાંસદ શશિ થરુરે પણ આ બ્લાસ્ટની નિંદા કરી છે. હાલ કેન્દ્રિય તપાસ એજન્સીઓ આ બ્લાસ્ટની આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે. આ ઘટના બાદ ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી.
કેરળના DGPએ શું કહ્યું ?
કેરળના DGP ડો. શેક દરવેશ સાહેબે જણાવ્યું છે કે આજે સવારે થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા, જેમની હાલ સારવાર થઈ રહી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારા વધારાના DGP સહિત વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર છે તેમજ આ ઘટનાની પાછળ કોણ છે તે શોધી કાઢીશું અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ અમે ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ.
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને બોમ્બ વિસ્ફોટ પછી રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે NIA અને NSGની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેસની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
થરૂરે નિંદા કરી હતી
કેરળના સાંસદ શશિ થરુરે બ્લાસ્ટની ઘટના અંગે કહ્યું હતું કે બ્લાસ્ટના સમાચારથી હું આઘાતમાં છું અને નિરાશ છું. હું આની સખત નિંદા કરું છું. શશિ થરુરે તાત્કાલિક પોલીસ કાર્યવાહીની માંગ પણ કરી હતી. આ ઉપરાંત તમામ ધર્મગુરુઓને આ ઘટનાને વખોડવાની વિનંતી કરી હતી.
ઘટનાની આતંકવાદી એંગલથી તપાસ
આ ઘટનાની કેન્દ્રિય તપાસ એજન્સીઓ આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે, ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે જ હમાસના નેતાએ વર્ચ્યુઅલ મીટિંગને સંબોધિત કરી હતી અને ત્યારબાદ આ બ્લાસ્ટની ઘટના બની છે તેથી એજન્સીઓ દ્વારા આ ઘટનાને આતંકવાદી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.