કાશ્મીરમાં એન્કાઉન્ટર : તોઈબાના ૬ આતંકી ઠાર, શસ્ત્રો-દારૂગોળો જપ્ત

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
કાશ્મીરમાં એન્કાઉન્ટર :  તોઈબાના ૬ આતંકી ઠાર, શસ્ત્રો-દારૂગોળો જપ્ત 1 - image


- આતંકીઓ કાશ્મીરી પંડિતો પર હુમલામાં સંડોવાયેલા હતા

- માર્યા ગયેલા આતંકીઓમાં સમીર અહેમદ શેખ 2021થી જ્યારે અન્ય આતંકીઓ ગયા વર્ષથી આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયા હતા

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ અને રાજૌરી જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં કુલ છ આતંકી ઠાર મરાયા છે. કુલગામમાં ગુરુવાર રાતથી એન્કાઉન્ટર ચાલુ હતું જ્યારે રાજૌરીમાં દળોની સંયુક્ત ટીમે શુક્રવારે સવારે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં એક આતંકી માર્યો ગયો હતો.

કાશ્મીર ઝોનના આઈજીપી વી. કે. બિરડીએ જણાવ્યું હતું કે, લગભગ ૧૮ કલાકની અથડામણના અંતે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળોને શુક્રવારે વહેલી સવારે લશ્કર-એ-તોયબાના પાંચ આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. આતંકગીઓના મૃતદેહો મેળવવામાં આવ્યા છે અને સંપૂર્ણ વિસ્તારને સેનિટાઈઝ કરાયો છે. ડ્રોન ફૂટેજની મદદથી માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહ શોધવામાં આવ્યા હતા. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે કુલગામ જિલ્લામાં આતંકીઓની હાજરીની માહિતી મળતા કુલગામના નેહામા ગામને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સમયે આતંકીઓએ સુરક્ષા દળના જવાનો પર ખુલ્લેઆમ ગોળીબાર શરૂ કરી દીધો હતો. 

અધિકારીઓએ ઉમેર્યું કે, સુરક્ષા દળોએ વિસ્તારને ચુસ્ત રીતે કોર્ડન કરી રાખ્યો હોવાથી આતંકીઓ ફસાઈ ગયા હતા. જોકે, શુક્રવારે વહેલી સવારે આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ વળતો જવાબ આપતા આતંકીઓ છુપાયા હતા તે ઘરમાં આગ લાગી હતી, જેથી આતંકીઓએ બહાર આવવા ફરજ પડી હતી અને આ અથડામણમાં પાંચ આતંકી માર્યા ગયા હતા. સામનો ગામમાં આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરાયું હતું.

દક્ષિણ કાશ્મીર રેન્જના ડીઆઈજી રઈસ ભટે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકીઓ ગયા વર્ષે શોપિયાંમાં કાશ્મીરી પંડિત સોનુ ભટ, શોપિયાંમાં હીરાપોરા બટગુંડમાં એક લઘુમતી, વાટ્ટુ કીગામમાં કોર્ડન પાર્ટી તથા આ વર્ષના પ્રારંભમાં ગાગ્રનમાં બિન-સ્થાનિક મજૂરો પર હુમલામાં સંડોવાયેલા હતા. આ આતંકીઓ લઘુમતીઓ પર અનેક હુમલામાં સંડોવાયેલા હોવાથી સુરક્ષા દળોને શુક્રવારે મોટી સફળતા મળી છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી ચાર એકે સિરિઝની રાઈફલ્સ, ચાર ગ્રેનેડ્સ અને બે પિસ્તોલ સહિત હથિયારો અને શસ્ત્ર સરંજામ મળી આવ્યા હતા.

દરમિયાન રાજૌરીમાં પણ સુરક્ષા દળોને આતંકી છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળતા આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બુધાલ પોલીસ સ્ટેશનના બેહરોટ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું. આ સમયે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. તેની પાસેથી એક એકે-૪૭ રાઈફલ, ત્રણ મેગેઝીન, ત્રણ ગ્રેનેડ્સ અને એક પાઉચ મળી આવ્યા હતા.


Google NewsGoogle News