કુલગામ અથડામણમાં 2 આતંકવાદીઓનો સફાયો, સુરક્ષાદળ મોરચા પર, અભિયાન ચાલુ
- 2017ના વર્ષથી એ પ્લસ કેટેગરીનો આતંકવાદી આ વિસ્તારમાં સક્રિય હતો અને કેટલાંય ગુનાઓમાં સામેલ હતો
નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રેડવાની બાલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતથી ચાલી રહેલી અથડામણમાં ગુરૂવાર સવાર સુધીમાં 2 આતંકવાદીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે અને તેઓની ઓળખ કરવામાં આવી રહી છે. હજુ જવાનો મોરચા પર છે અને અભિયાન ચાલુ છે. આ અગાઉ બુધવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફિરોઝ અહમદને મારી નાખ્યો હતો.
ફિરોઝ 2017ના વર્ષથી સક્રિય
એ પ્લસ કેટેગરીનો આ આતંકવાદી તે વિસ્તારમાં 2017ના વર્ષથી સક્રિય હતો અને કેટલાંય ગુનાઓમાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 1 એકે રાઈફલ, 3 મેગેઝિન અને બીજી કેટલીક વાંધાજનક સામગ્રીઓ મળી આવી છે. પોલીસે જણાવ્યું કે, જિલ્લાના ઉજરામપથરી ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળતા મંગળવારે મોડી રાત્રે તે વિસ્તારને ઘેરીને સુરક્ષા દળો દ્વારા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
ફાયરિંગ કરી ભાગવાનો પ્રયત્ન
ઘેરો સખત હોવાના કારણે એક મકાનમાં છુપાયેલા આતંકવાદીએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સુરક્ષા દળોએ તેનો પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો હતો. એસઓપીનું પાલન કરીને આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે ઘણું કહેવામાં આવ્યું પરંતુ તેઓ જવાનો પર ફાયરિંગ કરતા રહ્યા. જવાબી કાર્યવાહીમાં શરૂ થયેલી અથડામણમાં તેમને મારવામાં સફળતા મળી છે.
એ પ્લસ કેટેગરીનો આતંકવાદી
પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ શોપિયાંના હેફ શિરમાલના રહેવાસી ફિરોઝ અહમદ ડાર તરીકે થઈ છે જે એ પ્લસ કેટેગરીનો આતંકવાદી હતો. હિઝબુલ મુઝાહિદ્દીનનો આ આતંકવાદી 2017થી સક્રિય હતો. આઈજી વિજય કુમારના જણાવ્યા અનુસાર ફિરોઝને મારી નાખવામાં આવ્યો તે સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.