લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર, ચૂંટણી કમિશનર અરુણ ગોયલે રાજીનામું આપ્યું
Election Commissioner Arun Goel Resigns : ચૂંટણી કમિશનર અરુણ ગોયલે શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચૂંટણી કમિશનરનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ચૂંટણી પંચ ચૂંટણીઓની તૈયારીમાં વ્યસ્ત છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. અરુણ ગોયલના રાજીનામા પાછળના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. જોકે, હજુ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી.
હાલમાં જ પશ્ચિમ બંગાળ પ્રવાસથી પરત ફરી હતી ચૂંટણી પંચની ટીમ
વાત જો લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓમાં ચૂંટણી પંચની સક્રિયતાને લઈને કરવામાં આવે તો આગામી 3 દિવસ બાદ આયોગને જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર જવાનું છે. ત્યારે, ચૂંટણી પંચ હજુ 2 દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળના પ્રવાસથી પરત ફર્યા છે. તેવામાં અરૂણ ગોયલના અચાનક રાજીનામું આપવાનું કોઈ ખાસ કારણ સામે આવ્યું નથી. તેના રાજીનામાંનો સ્વીકાર કરવાને લઈને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી શનિવારે (9 માર્ચ) એક નોટિફિકેશન જાહેર કરાઈ. આ નોટિફિકેશનમાં રાષ્ટ્રપતિથી ચૂંટણી કમિશનર અરૂણ ગોયલના તાત્કાલિક અસરથી રાજીનામું સ્વીકારવા વિનંતી કરવામાં આવી છે.