ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં ફરી પડશે ગાબડું! શિંદેએ શરુ કર્યું 'ઓપરેશન ટાઇગર', સમગ્ર રાજ્યમાં પક્ષપલટાનો ખેલ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારોની ચર્ચા ચાલી રહી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિમાં ભાગીદાર એકનાથ શિંદે શિવસેના(ઉદ્ધવ જૂથ)માં ફરી એક વિભાજનની તૈયારી કરી રહ્યા છે. તેમણે ખુલ્લેઆમ ઓપરેશન ટાઇગર શરુ કર્યું છે. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન ધનુષ્ય-તીર તેમની પાસે છે અને તે ખુલ્લેઆમ શિવસેના (ઉદ્ધવ જૂથ) પર નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં એક ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે, 'શિવસેના (ઉદ્ધવ જૂથ)માં ફક્ત પિતા-પુત્રની જોડી એટલે કે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે જ બચશે.'
એકનાથશિંદેએ નાગરિક ચૂંટણીઓ પહેલા આ ઝુંબેશ શરુ કરી છે અને તેમને તેમાં શરુઆતી સફળતા મળી છે. મુંબઈ, નાગપુર, નાસિક, કોલ્હાપુર, શાહપુર, ભિવંડી, મીરા ભાયંદર અને કલ્યાણમાં ઘણા નેતાઓ ઉદ્ધવ જૂથ છોડીને શિંદે સેનામાં જોડાયા.
ઠાકરે સમર્થકોને એકત્ર કરવાનો પ્રયાસ
એકનાથ શિંદેએ લગભગ અઢી વર્ષ પહેલાં બળવો કર્યો હતો અને ભાજપના સમર્થનથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે સમર્થક કાર્યકરો સાથે સખત મહેનત કરી અને મહાયુતિ સાથે મળીને એકનાથ શિંદેની શિવસેનાએ પોતાના દમ પર 57 બેઠકો જીતી. આ જીત પછી વાસ્તવિક પડકાર બાકી છે, કારણ કે ભાજપે કોઈપણ ગઠબંધન વિના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા ચૂંટણીમાં ઉદ્ધવને હરાવવાની તૈયારીઓ
મહારાષ્ટ્રમાં 27 મ્યુનિસિપલ કૉર્પોરેશનો, 243 મ્યુનિસિપલ કાઉન્સિલો, 37 નગર પંચાયતો, 26 જિલ્લા પરિષદો અને 289 પંચાયત સમિતિઓ માટે ચૂંટણી યોજાવાની છે. નાગરિક સંસ્થાઓમાં જીતવા માટે, ઠાકરે પરિવારના સમર્થક ગણાતાં નેતાઓ અને કાર્યકરો શિંદેની શિવસેનાનો ભાગ બને તે જરૂરી છે. જો શિંદે સેના ભાજપ સાથે જોડાણ કરીને મુંબઈ, થાણે જેવી મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં સત્તા પર આવશે, તો ઉદ્ધવ સેનાનું મનોબળ તૂટી જશે. વર્ષ 1985થી બીએમસી ઠાકરે પરિવારના શિવસેનાના નિયંત્રણ હેઠળ છે. જો શિંદે સેના BMC ચૂંટણીમાં મજબૂત બને છે, તો તે ભાજપ સાથે મળીને ઠાકરે પરિવારને સૌથી મોટી નગરપાલિકામાંથી બહાર કાઢી શકે છે.