આસામ, ત્રિપુરા, મેઘાલય અને પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા, 5.3ની તીવ્રતા નોંધાઈ
દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
Earthquake in Assam Tripura Meghalaya And North bengal : પૂર્વોત્તર રાજ્યો આસામ અને મેઘાલય સહિત દેશના 4 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સાંજે પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ધરતી ધ્રૂજી ગઈ હતી. મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલયમાં સાંજે 6.15 કલાકે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી.
નોર્થ બંગાળમાં પણ ભારે ભૂકંપના આંચકા
ઉત્તર બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિલીગુડી અને કૂચ બિહારમાં ભૂકંપ આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સલામત સ્થળે દોડી આવ્યા હતા. જો કે, પ્રારંભિક માહિતી અનુસાર, કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી. બીજી તરફ દાર્જિલિંગની પહાડીઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાથી ઉત્તર બંગાળ રાજ્યનો સૌથી વધુ ભાગ પ્રભાવિત થયો છે.