ગદર-2ના એક સીનના કારણે સર્જાયો વિવાદ, યુવકની હત્યા મામલે સગીર સહિત 5ની ધરપકડ
પરિવારજનોએ અને શીખ સમુદાયે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી કરી
ભાજપના નેતાઓ પણ મૃતકના પરિવારના સમર્થનમાં આવ્યા હતા
Image:Pixabay |
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક 32 વર્ષીય યુવકની હત્યાના આરોપમાં પોલીસે એક સગીર સહિત 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે 15-16 સેપ્ટેમ્બરની રાત્રે ITI મેદાન પાસે સાતથી આઠ લોકોએ મૃતક સાથે મારપીટ કરી હતી. મૃતક 'ગદર 2' જોઈ રહ્યો હતો અને કોઈ ડાયલોગને લઈને યુવક અને આરોપીઓ વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપીઓએ તેને ખુબ માર માર્યો હતો. ઘટના વિશે જાણકારી મળ્યા બાદ પીડિતએન રાયપુરની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ભાજપના નેતાઓ પણ મૃતકના પરિવારના સમર્થનમાં આવ્યા
મૃતકના પરિવારજનોએ અને શીખ સમુદાયે આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગને લઈને ખુર્સીપાર પોલીસ સ્ટેશન સામે દેખાવ કર્યો હતો. તેઓએ 50 લાખ રૂપિયા વળતર અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી હતી. આટલું જ નહીં ભાજપના નેતાઓ પણ મૃતકના પરિવારના સમર્થનમાં આવ્યા હતા.
બે દિવસથી પોલીસ સ્ટેશન સામે ટેન્ટ લગાવીને વિરોધ કરી રહ્યા છે
ભાજપના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ પ્રેમ પ્રકાશ પાંડેએ કહ્યું કે, 'જ્યાર સુધી પરિવારજનોની માંગ પૂરી નહી કરવામાં આવે ત્યાર સુધી તે પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. ગત બે દિવસથી પોલીસ સ્ટેશન સામે પરિવારના સભ્યો શીખ સમાજના લોકો અને ભાજપના નેતા ટેન્ટ લગાવીને વિરોધ કરી રહ્યા છે. શીખ સમાજના લોકોએ 24 કલાકની અંદર તમામ આરોપીઓની ધરપકડની માંગણી કરી છે. તેઓએ માંગણીઓ પૂરી ન થવા પર આજે રસ્તા અને પ્રદેશ બંધની ચેતવણી પણ આપી છે અને ભાજપ પણ આને સમર્થન આપશે.
'ગદર-2'ના એક સીન પર થયો વિવાદ
મૃતક યુવકના મિત્રે જણાવ્યું કે 'ગદર 2' ફિલ્મમાં પઠાણોનું એક સીન આવે છે જેમાં સની દેઓલ તેમને મારે છે. આ પછી મૃતક કહે છે આ જો એક સરદાર બધા પઠાણો પર કેટલો ભારી પડ્યો. માત્ર આ વાત પર આરોપીઓએ યુવકને માર માર્યો હતો. માર માર્યા બાદ તેઓએ મને ઘૂંટણિયે કરી દીધો અને મારી ગરદન પર ચાકુ રાખી દીધો અને કહ્યું તું ઉભો ન થતો નહિતર તારી ગરદન કાપી કાઢીશું. ત્યારબાદ અમને ગાડીની ચાવી આપી અને કહ્યું તમે લોકો ચાલ્યા જાઓ જે પછી અમે ત્યાંથી નીકળી ગયા.