NIA પહેલા જ તમને બોમ્બ વિસ્ફોટની જાણકારી મળી ગઇ? મોદી સરકારના મંત્રીને હાઈકોર્ટનો સવાલ

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
NIA પહેલા જ તમને બોમ્બ વિસ્ફોટની જાણકારી મળી ગઇ? મોદી સરકારના મંત્રીને હાઈકોર્ટનો સવાલ 1 - image


Image: Wikipedia

Bangalore Rameshwaram Cafe Blast: મદ્રાસ હાઈકોર્ટે બુધવારે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેથી તેમના તે નિવેદન પર આકરા સવાલ કર્યાં છે, જેમાં તેમણે બેંગ્લુરુના રામેશ્વરમ કેફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટને તમિલનાડુ સાથે જોડ્યો હતો. મંત્રી સામે આરોપ છે કે માર્ચ 2024માં રામેશ્વરમ કેફેમાં થયેલા વિસ્ફોટો બાદ તેમણે કથિતરીતે કહ્યું હતું કે તમિલનાડુમાં ટ્રેનિંગ લઈને લોકો અહીં બોમ્બ લગાવે છે. હોટલમાં પણ ત્યાંથી આવેલા લોકોએ બોમ્બ લગાવ્યા.

રિપોર્ટ અનુસાર કેન્દ્રીય મંત્રીના નિવેદનથી દુ:ખી થઈને મદુરાઈ નિવાસી ત્યાગરાજને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે તમિલો અને કન્નડ લોકોની વચ્ચે દુશ્મની અને નફરત પેદા કરવાની ઈચ્છાથી આવા આરોપ લગાવવામાં આવ્યા હતા. તેમની ફરિયાદ બાદ શોભા કરંદલાજે પર આઈપીસીની કલમ 153, 153(એ), 505(1)(બી) અને 505(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો. આ ગુના માટે બેંગ્લુરુના ચિકપેટ પોલીસ સ્ટેશનમાં વધુ એક FIR નોંધવામાં આવી છે. 

બુધવારે જસ્ટિસ જી જયચંદ્રને પૂછ્યુ કે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા દરોડા પાડ્યા પહેલા જ મંત્રી વિસ્ફોટોને તમિલનાડુના લોકો સાથે કેવી રીતે જોડી શકે છે. કોર્ટે કહ્યું કે જો મંત્રીની પાસે વિસ્ફોટ વિશે કોઈ જાણકારી હતી તો એક જવાબદાર નાગરિક તરીકે તેમણે તપાસ એજન્સીને આની જાણકારી આપવી જોઈતી હતી. જોકે, તેમણે આવું કર્યું નહીં. 

કરંદલાજેના વકીલે કોર્ટને વચગાળાની પ્રાર્થનાનો સ્વીકાર કરવા અને ચાલી રહેલી તપાસ પર રોક લગાવવાનો આગ્રહ કર્યો. સરકારી વકીલે પ્રાર્થનાનો વિરોધ કર્યો અને કોર્ટથી તેમના ઈન્ટરવ્યૂની વીડિયો ક્લિપિંગ જોવા આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે મંત્રીના નિવેદનોનો હેતુ બે જૂથના લોકોની વચ્ચે દુશ્મની પેદા કરવાનો હતો. 

હાઈકોર્ટે હાલ કોઈ વચગાળાની રાહત આપી નથી પરંતુ મામલાને આગળની સુનાવણી માટે 12 જુલાઈ સુધી સ્થગિત કરી દેવાયો. કોર્ટે ફરિયાદ પક્ષને કેસ ડાયરી રજૂ કરવાનું કહ્યું છે. 

પોતાની અરજીમાં મંત્રીએ કહ્યું છે કે FIR ખોટા ઈરાદેથી નોંધવામાં આવી હતી અને આ પ્રક્રિયાનો દુરુપયોગ છે. તેમણે કહ્યું કે તેમણે પોતાના ઈરાદા સ્પષ્ટ કરતાં અને નિવેદનો માટે માફી માંગતા પોતાની ટિપ્પણી પહેલા જ પાછી લઈ લીધી છે. તેમણે કહ્યું કે તેમ છતાં ફોજદારી કાયદાનો અમલ કરવો દુર્ભાગ્યપૂર્ણ છે અને બંધારણની કલમ 19(1)(એ) દ્વારા ખાતરીપૂર્વકનું ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળ પર પ્રહાર છે.


Google NewsGoogle News