VIDEO: યુપીમાં દિબ્રૂગઢ ટ્રેન દુર્ઘટનામાં તપાસના આદેશ, મૃતકો અને ઈજાગ્રસ્તો માટે કરાઈ વળતરની જાહેરાત

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
VIDEO: યુપીમાં દિબ્રૂગઢ ટ્રેન દુર્ઘટનામાં તપાસના આદેશ, મૃતકો અને ઈજાગ્રસ્તો માટે કરાઈ વળતરની જાહેરાત 1 - image

Uttar Pradesh Dibrugarh Express Train Derail:  ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી  પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. દિબ્રુગઢ એક્સપ્રેસના એસી કોચની હાલત ખરાબ છે. ગોંડા નજીક ઝિલાહી રેલવે સ્ટેશન પાસે દિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો ભયથી બૂમો પાડવા લાગ્યા હતાં. ટ્રેન ઉભી રહેતાં જ મુસાફરો બહાર આવી ગયા હતા. રેલવે વિભાગે ઘટનાના કારણની તપાસ શરૂ કરી છે.  

એસડીઆરએફની 3 ટીમ બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચાર લોકો ઘાયલ થવા હોવાના અહેવાલ મળ્યા છે. દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન માટે હેલ્પલાઈન નંબર LJN-8957409292 અને GD- 8957400965 જારી કરવામાં આવ્યો છે. મોટાભાગના મુસાફરો કોચમાંથી બહાર આવી ગયા છે. પરંતુ હજી તમામ કોચમાં તપાસ થઈ રહી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્રેન દુર્ઘટનાની નોંધ લેતાં અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોંચી ઝડપથી બચાવ કામગીરી શરૂ કરવા નિર્દેશ કર્યો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર ઘટનાસ્થળના આસપાસના વિસ્તારોમાં સ્થિત હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. ઘટના સ્થળે 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

મૃતકોના પરિજનોને રૂ. 10 લાખનું વળતર આપવાની જાહેરાત

આ દુર્ઘટનાના કારણે કુલ 13 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. ચાર લોકોના મોત  નીપજ્યા હોવાની ખાતરી રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે. 20 લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. મૃતકોને રૂ. 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્તોને રૂ. 2.50 લાખ, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 50 હજાર વળતર ચૂકવવાની જાહેરાત થઈ છે.


રેલવે વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ

ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી 15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવાર બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. જેનાથી મુસાફરો ચિંતિંત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

દેશમાં ટ્રેન અકસ્માતોની ઘટના વધી

ઉલ્લેખનીય છે કે, અગાઉ પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 17 જુનના રોજ એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ હતી. આ ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા હતા.

2014થી 2023 વચ્ચે વાર્ષિક સરેરાશ 71 ટ્રેન અકસ્માત થયા

સરકારે દાવો કર્યો છે કે, 2004થી 2014 વચ્ચે વાર્ષિક સરેરાશ 171 ટ્રેન અકસ્માત થતા હતા, જ્યારે 2014થી 2023 વચ્ચે વાર્ષિક સરેરાશ 71 ટ્રેન અકસ્માત થયા છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો છે. 1960-61થી 1970-71 વચ્ચે એટલે કે 10 વર્ષમાં 14769, 2004-05થી 2014-15 વચ્ચે 1844, જ્યારે 2015-16થી 2021-22 એટલે કે છ વર્ષમાં 449 ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ 1960થી 2022 સુધીના 62 વર્ષમાં 38,672 ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા છે. 1960-61થી 1970-71 વચ્ચે એટલે કે 10 વર્ષમાં 14769, 2004-05થી 2014-15 વચ્ચે 1844, જ્યારે 2015-16થી 2021-22 એટલે કે છ વર્ષમાં 449 ટ્રેન અકસ્માતો થયા છે. આ મુજબ 1960થી 2022 સુધીના 62 વર્ષમાં 38,672 ટ્રેન અકસ્માતો થયા છે. એટલે કે દર વર્ષે સરેરાશ 600થી વધુ અકસ્માતો થયા છે.

  VIDEO: યુપીમાં દિબ્રૂગઢ ટ્રેન દુર્ઘટનામાં તપાસના આદેશ, મૃતકો અને ઈજાગ્રસ્તો માટે કરાઈ વળતરની જાહેરાત 2 - image


Google NewsGoogle News