ખેડૂતોના આંદોલનને લઇને ગુપ્તચર એજન્સીએ આપ્યું એલર્ટ, દિલ્હીની ચિંતા વધી, પોલીસ સતર્ક

ગુપ્તચર એજન્સીના એલર્ટ પર રેલ, મેટ્રો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો પોલીસના રડાર પર

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
ખેડૂતોના આંદોલનને લઇને ગુપ્તચર એજન્સીએ આપ્યું એલર્ટ, દિલ્હીની ચિંતા વધી, પોલીસ સતર્ક 1 - image


Farmers Protest Delhi: કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી ગુપ્તચર એજન્સીને ખેડૂતોના આંદોલનને લઈને જે એલર્ટ મળી રહી છે તેના કારણે દિલ્હીની ચિંતા વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર, દિલ્હી તરફ આગળ વધી રહેલા ખેડૂતોને જંતરમંતર સુધી પહોંચવા દેવામાં ન આવે તે માટે પોલીસ આ એંગલ પર કામ કરી રહી છે. ખેડૂત સંગઠનોએ 10મી માર્ચે ચાર કલાક માટે ટ્રેનો રોકવાની હાકલ કરી છે. ત્યાર બાદ 14મી માર્ચે રામલીલા મેદાનમાં કિસાન મહાપંચાયત યોજવાની ચર્ચા છે. જો કે આ વખતે ખેડૂતો ટ્રેક્ટર વગર દિલ્હી પહોંચી રહ્યા છે. ગુપ્તચર એજન્સીના એલર્ટ પર રેલ, મેટ્રો અને જાહેર પરિવહનના અન્ય માધ્યમો પોલીસના રડાર પર છે. હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી અને રાજસ્થાન પોલીસ વધારાની તકેદારી રાખી રહી છે.

પોલીસ માટે ખેડૂતોને સંભાળવા એ એક મોટો ટાસ્ક

સૂત્રોના જણાવ્યાનુસાર, આ વખતે પોલીસ માટે ખેડૂતોને સંભાળવા મોટો ટાસ્ક છે. કારણ કે ખેડૂતો ટ્રેક્ટર દ્વારા દિલ્હી નથી આવી રહ્યા. હરિયાણા-પંજાબના હજારો ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડર પર છે. ત્યાંથી મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી જવા રવાના થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂતોને જાહેર પરિવહન બસ, રેલ અને મેટ્રો દ્વારા દિલ્હીના જંતર-મંતર પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. ખેડૂતોએ દિલ્હી પહોંચવા માટે કાર, જીપ અને નાની બસો જેવા અંગત પરિવહનની પણ વ્યવસ્થા કરી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને જંતરમંતર પહોંચતા રોકવા પોલીસ માટે મોટો પડકાર છે.

પીએમ અને ગૃહમંત્રીના નિવાસસ્થાને સુરક્ષા વધારી

ખેડૂતો દિલ્હીમાં એન્ટ્રી બાદ હંગામો મચાવી શકે છે. તેઓ વડાપ્રધાનના નિવાસસ્થાન, કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાન અને અન્ય વીવીઆઈપીના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરી શકે છે. નવી દિલ્હીના ઘણાં મેટ્રો સ્ટેશનો પર મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ ન આવે તે માટે હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી અને રાજસ્થાન પોલીસને એલર્ટ કરવામાં આવી છે. આ માટે રેલવે, મેટ્રો અને પબ્લિક ટ્રાન્સપોર્ટ બસોમાં ચેકિંગ વધારવામાં આવી રહ્યું છે. ખાનગી વાહનોની સંપૂર્ણ તપાસ કરવા જણાવાયું છે. 

રવિવાર સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે

'પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ'ના અધિકારી સરવન સિંહ પંધેર જણાવ્યું હતું કે, 'અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તમામ રાજ્યોના ખેડૂતો છઠ્ઠી માર્ચે દિલ્હીમાં ભેગા થશે.' બાદમાં તેમણે કહ્યું કે, 'તમામ રાજ્યોના ખેડૂતો માટે 6 માર્ચ સુધીમાં દિલ્હી પહોંચવું શક્ય નથી. કારણ કે, તેમને દિલ્હી પહોંચતા ઘણાં દિવસો લાગશે. આ અંગેની સ્થિતિ 10મી માર્ચ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. ખેડૂતોની દિલ્હી કૂચને જોતા પોલીસ અને કેન્દ્રીય દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

14મી માર્ચે કિસાન મહાપંચાયત યોજાશે

દિલ્હીમાં ખેડૂતોના રોકાણના સંભવિત સ્થળો પર પણ પોલીસ તહેનાત છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. કોઈને પણ પ્રદર્શન કરવા દેવામાં આવશે નહીં. રેલવે, મેટ્રો સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર વધારાના પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. યુનાઇટેડ કિસાન મોરચાએ 14મી માર્ચે રામલીલા મેદાનમાં કિસાન મહાપંચાયત બોલાવી છે. ખેડૂત સંગઠનો તરફથી કહેવામાં આવ્યું છે કે ખેડૂતો મહાપંચાયતમાં ટ્રેક્ટર નહીં લાવે. તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જ મહાપંચાયત પહોંચશે.


Google NewsGoogle News