'હું તને પતિ નથી માનતી, કરવા ચૌથનું વ્રત નહીં રાખુ': પત્નીની ક્રૂરતા પર કોર્ટે છૂટાછેડા માન્ય રાખ્યા
Image Source: Twitter
- લગ્ન બાદ પત્ની દ્વારા પતિનો સતત અસ્વીકાર કરવો તેના માટે મોટી માનસિક પીડાનું કારણ: દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2023, બુધવાર
દિલ્હી હાઈકોર્ટે માન્યું કે, લગ્ન બાદ પત્ની દ્વારા પતિનો સતત અસ્વીકાર કરવો તેના માટે મોટી માનસિક પીડાનું કારણ છે.
છૂટાછેડાના ફેમિલી કોર્ટના નિર્ણયને માન્ય રાખતા જસ્ટિસ સૂરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે, પતિએ પોતાની જુબાનીમાં કહ્યું હતું કે, પત્નીએ એમ કહીને કરવા ચૌથનું વ્રત રાખવાનો ઈનકાર કરી દીધો કે, તે કોઈ અન્ય પુરુષને પોતાનો પતિ માને છે અને તેના માતા-પિતાએ તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરી પૂર્વક લગ્ન કરાવ્યા હતા.
પત્નીની અરજીને ફગાવી દેતા બેન્ચે કહ્યું કે, ફેમિલી કોર્ટે પત્નીના આચરણને પતિને અત્યધિક માનસિક પીડા, દુ:ખ અને ક્રૂરતાનું કારણ ગણાવ્યું છે. આ કારણોસર તે છૂટાછેડાનો હકદાર છે.
આ અગાઉ ફેમિલી કોર્ટે એક પતિને તેની પત્ની દ્વારા ક્રૂરતાના આધાર પર છૂટાછેડા આપવાનો આદેશ આપ્યો હતો. બંનેના લગ્ન માર્ચ 2011માં થયા હતા અને લગ્નના 6 મહિના બાદ જ અલગ રહેવા લાગ્યા હતા.