‘હવે કેજરીવાલે કોર્ટને કહેવું પડશે નાણાં ક્યાં છે ?’ દિલ્હી લિકર પોલિસી મામલે ભાજપના દિગ્ગજ નેતાએ AAP સરકાર પર સાધ્યું નિશાન
સુપ્રીમે દિલ્હી લિકર પોલિસી મામલે સિસોદિયાની જામીન અરજી નામંજૂર કરતા ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યું
સુપ્રીમના નિર્ણયમાં 338 કરોડ રૂપિયાના ગોટાળાનો ઉલ્લેખ કરાતા ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કેજરીવાલ
નવી દિલ્હી, તા.30 ઓક્ટોબર-2023, સોમવાર
સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિલ્હી લિકર પોલિસી મામલે (Delhi Excise Policy Case) મનીષ સિસોદિયા (Manish Sisodia)ની જામીન અરજી નામંજૂર કરવા ઉપરાંત કથિત 338 કરોડ રૂપિયાના ગોટાળાનો પણ ઉલ્લેખ કરતાં ભાજપે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) પર નિશાન સાધ્યું છે. ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી (Sudhanshu Trivedi)એ કટાક્ષ કરતા કહ્યું કે, ‘જો તમે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી જુઓ તો તેમાં માત્ર જામીન અરજી નામંજૂર થઈ નથી, પરંતુ 338 કરોડ રૂપિયા પણ સ્થાપિત થયા હોવાનું જોવા મળ્યું... એટલે કે જ્યારે તેઓ (અરવિંદ કેજરીવાલ) નાણાં (મની ટ્રેલ)ની વાત કરતા હતા, તે આજે લીગલી સ્થાપિત થતા જોવા મળી રહ્યા છે.
કેજરીવાલ સરકારે કોર્ટમાં કહેવું પડશે કે નાણાં ક્યાં છે ?
BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો કે, આ આરોપોમાં આંકડાકીય સ્થિતિ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. હવે અરવિંદ કેજરીવાલ સરકારે કોર્ટમાં કહેવું પડશે કે નાણાં ક્યાં છે ? ભાજપ સાંસદે કહ્યું કે, નાણાં મીડિયા રિપોર્ટમાં બતાવા નથી, પરંતુ તપાસ એજન્સીઓ કોર્ટ સમક્ષ રજુ કરે છે. કોર્ટમાં રજુ કરાયેલ પુરાવાઓના આધારે આ નાણાંનો પર્દાફાશ થઈ રહ્યો છે. કેજરીવાલની સરકારે કહેવું પડશે કે નાણાં ક્યાં છે ? તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, કેજરીવાલ સરકારના જેટલા પણ ઝવેરાત હતા, તે બધા હાલ જેલમાં છે.
તપાસ એજન્સીએ મોટાભાગના સવાલોનો યોગ્ય જવાબ ન આપ્યો : સુપ્રીમ
ઉલ્લેખનિય છે કે, દિલ્હી લિકર કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીન આપ્યા નથી. સુપ્રીમ કોર્ટે સોમવારે જામીન અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે, આ કેસમાં કામચલાઉ ધોરણે 338 કરોડ રૂપિયાનું પગેરું સાબિત થયું છે. ઉપરાંત 7થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનું પણ જણાવ્યું છે. જો 6થી 8 મહિનામાં ટ્રાયલ પૂર્ણ ન થાય તો સિસોદિયા ફરી જામીન અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, તપાસ એજન્સીએ અમારા મોટાભાગના સવાલોનો યોગ્ય જવાબ આપ્યો નથી.
‘...તો સિસોદિયા સામેના આરોપો સાબિત કરવા મુશ્કેલ બનશે’
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને એસ.વી.એન.ભટ્ટીએ આ નિર્ણય સંભવાયો. બેંચે બંને અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે 17 ઓક્ટોબરે ઈડીને કહ્યું હતું કે, દિલ્હી લિકર પોલિસીમાં ફેરફાર કરવા કથિત રીતે અપાયેલ લાંચ ‘ગુનાની આવક’નો ભાગ નથી, તો એજન્સી માટે સિસોદિયા સામે મની લોન્ડરિંગના આરોપો સાબિત કરવા મુશ્કેલ બનશે.