પૂર્વ CMના પુત્રને જ દિલ્હીની સત્તા સોંપશે ભાજપ? જીત બાદ મળ્યા સંકેત
Delhi CM Name: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ ચોંકાવનારા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ ભાજપ બહુમતિ સાથે દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે, આખરે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલને ભાજપના ઉમેદવાર પરવેશ વર્મા સામે હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, પરવેશ વર્મા મુખ્યમંત્રી પદ માટેના મુખ્ય દાવેદાર છે. જોકે, અત્યાર સુધી તેઓ આ વાતનો ઇન્કાર કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Delhi Election Results LIVE: ભાજપની લહેરમાં ઝાડૂ વિખેરાયું, AAPના મહારથીઓ પણ 'બોલ્ડ'
મુખ્યમંત્રીનો નવી દિલ્હી બેઠક સાથેનો સંબંધ
નોંધનીય છે કે, છેલ્લી અનેક ચૂંટણીમાં એવું જોવા મળી રહ્યું છે કે, જે નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી જીતે છે, તે મુખ્યમંત્રી બને છે. અરવિંદ કેજરીવાલે 2013, 2015 અને 2020માં આ બેઠક પરથી જ જીત હાંસલ કરીને મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. તેઓએ 2013માં શીલા દીક્ષિતને નવી દિલ્હીથી હરાવ્યા હતા. શીલા દીક્ષિત આ બેઠક પરથી એકવાર ચૂંટાયા હતા. આ પહેલાં તે બે વાર ગોલ માર્કેટ બેઠકથી જીત્યા હતા, ત્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. ગોલ માર્કેટ બેઠક 2007માં પરિસીમન બાદ બદલાઈ ગઈ અને તેનું નામ નવી દિલ્હી કરવામાં આવ્યું.
આ પણ વાંચોઃ દિલ્હીની હોટ સીટના પરિણામ: આતિશીએ AAPની લાજ બચાવી, દિલ્હીમાં AAP થઈ ગયું સાફ
પરવેશ વર્માએ અમિત શાહ સાથે કરી મુલાકાત
શનિવારે (8 ફેબ્રુઆરી) ચૂંટણી જીત્યા બાદ પરવેશ વર્મા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ત્યાં મુખ્યમંત્રીના ચહેરા વિશે ચર્ચા કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર દરમિયાન પરવેશ વર્મા પર પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, શું ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો પરવેશ વર્મા હશે?
પરવેશ વર્માએ કેજરીવાલ સામે જીત હાંસલ કર્યાં બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું 'જય શ્રી રામ, આજે જે સરકાર બનવા જઈ રહી છે તે, વડાપ્રધાનના વિઝનને લઈને દિલ્હીમાં આવશે. હું દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કરું છું, આ વડાપ્રધાન મોદીની જીત છે. દિલ્હીની જનતાની જીત છે'.