દિલ્હીમાં ચૂંટણી પરિણામ પહેલા જ પક્ષપલટુઓના ડરથી AAPમાં ખળભળાટ, કેજરીવાલે બોલાવી બેઠક
Delhi Election Result: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યો પરના પક્ષપલટુના આરોપો પર ચર્ચા કરવામાં આવશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે AAP ધારાસભ્યો અને ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી છે.
આપણો કોઈપણ માણસ નહી તૂટે: અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, કેટલીક એજન્સીઓ બતાવી રહી છે કે ભાજપને 55થી વધુ બેઠક મળી રહી છે. છેલ્લા બે કલાકમાં, અમારા 16 ઉમેદવારોને કોલ કરીને કહેવામાં આવ્યું છે કે AAP છોડીને અમારી પાર્ટીમાં સાથે આવી જાઓ, મંત્રી બનાવી દેશું અને દરેકને રૂ.15 કરોડ આપવામાં આવશે. જો તેમના પક્ષને 55થી વધુ બેઠકો મળી રહી છે તો પછી અમારા ઉમેદવારોને બોલાવવાની શું જરૂર છે, દેખીતી રીતે, કેટલાક ઉમેદવારોને હરાવી શકાય તેવું વાતાવરણ ઉભું કરવા માટે જ આ નકલી સર્વે કરવામાં આવ્યા છે, પરંતુ આ લોકોના કારણે અમારો એકપણ માણસ નહિ તૂટે.'
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ શું કહ્યું?
દિલ્હીના સીએમ આતિશીએ સોશિયલ મીડિયા પર લખ્યું, જો ભાજપને 50થી વધુ બેઠકો મળી રહી છે, તો પછી તેઓ કેમ અમારા ઉમેદવારોનો સંપર્ક કરીને તેમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે? આ દર્શાવે છે કે એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનું ષડયંત્ર છે!'
સુલતાનપુર માજરાએ પણ આ મામલે કરી પોસ્ટ
આતિશીએ સુલતાનપુર માજરાથી AAP ઉમેદવાર અને દિલ્હીના મંત્રી મુકેશ અહલાવતની પોસ્ટને રિપોસ્ટ કરી. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'હું મરી જઈશ, મને કાપી નાખવામાં આવે તો પણ હું અરવિંદ કેજરીવાલજીનો ક્યારેય સાથ નહીં છોડું. મને આ નંબર પરથી ફોન આવ્યો. તેમણે કહ્યું કે અમારી સરકાર બની રહી છે, તમને મંત્રી બનાવીશું અને 15 કરોડ રૂપિયા પણ આપીશું. AAPને છોડી દો. હું તેમને કહેવા માંગુ છું કે કેજરીવાલજી અને AAP પાર્ટીએ મને જે સન્માન આપ્યું છે, હું મરતા સુધી મારી પાર્ટી નહીં છોડું.'