જોવામાં ભલે 0 પણ દિલ્હીમાં કોંગ્રેસે જ બગાડ્યો AAPનો ખેલ! 13 બેઠકો પર બાજી પલટી
Delhi Election Result 2025: દિલ્હી વિધાનભા ચૂંટણીના પરિણામો શનિવારે (9 ફેબ્રુઆરી) જાહેર થઈ ચુક્યા છે. ભાજપ 48 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમત સાથે 27 વર્ષ બાદ દિલ્હીની સત્તા પર પરત ફરી છે. આમ આદમી પાર્ટી 22 બેઠકોમાં જ સમેટાઈ ગઈ છે. AAP 14 બેઠકોથી બહુમતનો આંકડો પાર ન કરી શકી. એક રોચક આંકડો એ પણ છે કે, 70 વિધાનસભા બેઠકોમાં 13 એવી બેઠક રહી છે, જ્યાં કોંગ્રેસના કારણે AAPને હારનો સામનો કરવો પડ્યો.
હકીકતમાં, આ બેઠકો પર હારનું અંતર કોંગ્રેસને મળેલાં મત કરતાં ઓછો રહ્યો છે. એટલે કે, જો AAP અને કોંગ્રેસ મળીને ચૂંટણી લડત તો આ 13 બેઠક ભાજપ હારી શકત. એટલે કે, ભાજપને સ્પષ્ટ બહુમત લાવવાથી રોકી શકાતું હતું. આવી સ્થિતિમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને 35 અને ભાજપને 35 બેઠક મળત. ચાલો જોઈએ કઈ છે આ બેઠકો.
સંગમ વિહારઃ
સંગમ વિહાર બેઠક પર સૌથી નજીકનો મુકાબલો રહ્યો હતો. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ મોહનિયા ફક્ત 344 મતથી હાર્યા હતાં. કોંગ્રેસે અહીં જોરદાર નુકસાન પહોંચાડ્યું હતું, કોંગ્રેસના હરીશ ચૌધરીને 15,863 મત મળ્યા છે.
ત્રિલોકપુરીઃ
ત્રિલોકપુરીમાં પણ ખરાખરીનો જંગ હતો. અહીં AAP ઉમેદવાર અંજના પાર્ચા ફક્ત 392 મતથી હાર્યા છે. કોંગ્રેસના અમરદીપને અહીં 6147 મત મળ્યા છે.
જંગપુરાઃ
જંગપુરા બેઠકથી મનીષ સિસોદિયા ફક્ત 675 મતથી પરાજિત થયાં. અહીં કોંગ્રેસના ફરહદ સૂરીને 7350 મત મળ્યા છે.
તિમારપુરઃ
તિમારપુર બેઠક પર સુરિંદર પાલ સિંહની 1168 મતોથી હાર થઈ છે. આ બેઠક પર કોંગ્રેસને લઈને લોકેન્દ્ર કલ્યાણ સિંહ 8361 મત લઈને આવ્યાં.
રાજિંદર નગરઃ
રાજિંદર નગરમાં AAP ઉમેદવાર દુર્ગેશ પાઠક 1231 મતથી હાર્યા હતાં. આ બેઠક પર કોંગ્રેસના વિનીત યાદવે 4015 મત લઈને આવ્યા છે.
આ પણ વાંચોઃ AAPથી માત્ર 2 ટકા વધુ વોટ સાથે ભાજપે 48 બેઠકો કઈ રીતે જીતી? સમજો ગણિત
મહરૌલીઃ
મહરૌલીથી AAP ઉમેદવાર મહેન્દ્ર ચૌધરી 1782 મતથી હાર્યા છે. કોંગ્રેસની પુષ્પા સિંહે આ બેઠક પર 9338 મત હાંસલ કર્યાં હતાં.
માલવીય નગરઃ
માલવીય નગરથી સોમનાથ ભારતીને 2131 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કોંગ્રેસ ઉમેદવાર જિતેન્દ્ર કુમાર કોચરને 6770 મત મળ્યા છે.
ગ્રેટર કૈલાશઃ
ગ્રેટર કૈલાશ બેઠક પરથી સૌરભ ભારદ્વાજ 3188 મતથી હાર્યા હતાં. આ બેઠક પર કોંગ્રેસના ગર્વિત સિંઘવીને 6711 મત મળ્યા છે.
નવી દિલ્હીઃ
નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલે 4089 મતથી હારનો સામનો કરવો પડ્યો. અહીં કોંગ્રેસના સંદીપ દીક્ષિતને 4568 મત મળ્યા હતાં.
છતરપુરઃ
છતરપુર બેઠક પરથી આપ ઉમેદવાર બ્રહ્મ સિંહ તંવર 6239 મતથી હારનો સામનો કર્યો. અહીં કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ તંવરને 6601 મત મળ્યા છે.
માદીપુરઃ
માદીપુર બેઠકથી રાખી બિડલાને 10,899 મતથી હારનો સામનો કરવો પડ્યો. અહીં કોંગ્રેસના જેપી પવારને 17,958 મત મળ્યા છે.
બદલીઃ
બદલી બેઠક પર અજેશ યાદવ 15,163 મતથી હારનો સામનો કર્યો હતો. અહીં કોંગ્રેસના દેવેન્દર યાદવ 41071 વોટ લાવીને AAPની હારનું કારણ બન્યાં.
નગલોઈ જાટઃ
નગલોઈ જાટમાં AAP ઉમેદવાર રઘુવીન્દ્ર શૌકીન 26,251 મતોથી હારનો સામનો કરવો પડ્યો. આ બેઠક પર કોંગ્રેસના રોહિત ચૌધરી 32,028 મત હાંસલ કર્યાં છે.