પૂજા ખેડકરની ધરપકડની તૈયારી, આગોતરા જામીન નામંજૂર; UPSCને પણ તપાસનો આદેશ

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
પૂજા ખેડકરની ધરપકડની તૈયારી, આગોતરા જામીન નામંજૂર; UPSCને પણ તપાસનો આદેશ 1 - image


Pooja Khedkar Case: પૂર્વ IAS ટ્રેઇની પૂજા ખેડકરને દિલ્હી કોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. પૂજા ખેડકર પર છેતરપિંડી કરીને UPSC પરીક્ષા પાસ કરવાનો આરોપ છે. 

પૂજા ખેડકરને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કર્યા બાદ કોર્ટે દિલ્હી પોલીસ અને UPSCને તપાસનો વ્યાપ વધારવાનો પણ આદેશ આપ્યો છે. આ સાથે જજ દેવેન્દ્ર કુમાર જંગાલાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, UPSCમાં અન્ય લોકોએ પણ પાત્ર ન હોવા છતાં ઓબીસી અને વિકલાંગ ક્વોટાનો લાભ લીધો છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.

પૂજા ખેડકર પર UPSC પરીક્ષામાં નકલી પ્રમાણપત્ર બનાવવાનો અને તેના આધારે પરીક્ષામાં વધુ તક મેળવવાનો આરોપ છે. આ કેસમાં પૂજા ખેડકરે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટે પટિયાલા હાઉસ કોર્ટનો સંપર્ક કર્યો હતો. હવે કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને દિલ્હી પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટને શંકા છે કે, શું UPSCમાંથી કોઈએ પૂજાને મદદ કરી છે. કોર્ટના આદેશ બાદ હવે દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરશે.

પૂજાની IAS ઉમેદવારી પર પણ રોક :

બુધવારે UPSCએ પૂજા ખેડકર કેસ પર મોટી કાર્યવાહી કરી હતી. પંચે પૂજાની IAS ઉમેદવારી પર રોક લગાવી દીધી હતી. આ સાથે પંચે પૂજાને ભવિષ્યમાં યુપીએસસીની કોઈપણ પરીક્ષામાં બેસવા દેવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ મામલે યુપીએસસીએ કહ્યું કે, કમિશને ઉપલબ્ધ માહિતીના આધારે સંપૂર્ણ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં પૂજાને આયોગના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે.

આ પણ વાંચો:  પૂજા ખેડકરની આઈએએસ કેરિયર પર યુપીએસસી દ્વારા કાયમી પૂર્ણવિરામ


Google NewsGoogle News