75 લાખની જમીન 850 કરોડમાં વેચી! દિલ્હીના ચીફ સેક્રેટરી અંગે આતિશીએ સોંપ્યો કેજરીવાલને રિપોર્ટ
સીએમ અરવિંદ કેજરીવાલને 650 પાનાનો રિપોર્ટ સોંપાયો
ચીફ સેક્રેટરીએ દીકરાની કંપનીને 850 કરોડ રૂપિયાનો ગેરકાયદે લાભ પહોંચાડ્યાનો આરોપ
Delhi Chief Secretary Land Scam | દિલ્હીના વિઝિલન્સ મિનિસ્ટર આતિશીએ ચીફ સેક્રેટરી નરેશ કુમાર (Naresh Kumar) કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) 650 પાનાનો રિપોર્ટ સોંપી દીધો છે. એવો દાવો કરાયો છે કે પ્રાથમિક તપાસ અનુસાર પ્રથમ દૃષ્ટિએ ચીફ સેક્રેટરીએ દીકરાની કંપનીને 850 કરોડ રૂપિયાનો ગેરકાયદે લાભ પહોંચાડ્યો.
શું છે દાવો ?
દાવો કરાયો છે કે દ્વારકા એક્સપ્રેસ વે નજીક 2015માં આ જમીન માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. હવે મોંઘા ભાવે તેનું અધિગ્રહણ કરાયું હતું જેના લીધે કંપનીને 850 કરોડનો અયોગ્ય લાભ થયો હતો. એવો પણ દાવો છે કે ચીફ સેક્રેટરીએ દીકરાની અન્ય કંપનીઓને પણ સરકારી કોન્ટ્રાક્ટ આપ્યા હતા જેના લીધે હવે આ કંપનીઓ સામે પણ તપાસનો સકંજો કસાશે.
CM કેજરીવાલે માગ્યો હતો રિપોર્ટ
માહિતી અનુસાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ નરેશ કુમાર સામે એક ફરિયાદના સંબંધમાં વિઝિલન્સ મિનિસ્ટર આતિશી પાસે રિપોર્ટ માગ્યો હતો. કથિત રીતે ફરિયાદમાં આરોપ લગાવાયો હતો કે એક માર્ગ પરિયોજના માટે અધિગ્રહણ કરાયેલી જમીન માટે વધુ વળતર મેળવનારા એક વ્યક્તિના સંબંધીએ મુખ્ય સચિવ નરેશ કુમારના દીકરાને નોકરી આપી. જ્યારે મુખ્ય સચિવ નરેશ કુમારે આ ફરિયાદને ખોટા આરોપો મૂકવાની હરકત ગણાવી હતી.