દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલને સૌથી મોટો ઝટકો! આઠ ધારાસભ્યોએ AAPમાંથી આપ્યું રાજીનામું
Delhi Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના આઠ ધારાસભ્યોએ એકસાથે રાજીનામાં મુકતા દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. ત્રિલોકપુરીના ધારાસભ્ય રોહિત મહરોલિયા, જનકપુરીના ધારાસભ્ય રાજેશ ઋષિ, કસ્તૂરબા નગરમાંથી મદનલાલ, પાલમ ધારાસભ્ય ભાવના ગૌડ, મહરોલીમાંથી નરેશ યાદવ, આદર્શ નગરમાંથી પવન શર્મા, બિજવાસનમાંથી બીએસ જૂન અને માદીપુર બેઠકના ધારાસભ્ય ગિરીશ સોનીએ પણ રાજીનામું આપ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા અમુક ધારાસભ્યોની ટિકિટ કપાતાં તેઓ નારાજ થયાં હોવાના અહેવાલો છે. આ બધા ધારાસભ્યોના સ્થાને પાર્ટીએ અન્ય ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેના કારણે તેમનામાં અસંતોષ વધી રહ્યો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના પાંચ દિવસ પહેલા આમ આદમી પાર્ટી (AAP) માં ભાગદોડ મચી ગઈ છે. પાર્ટીના આઠ ધારાસભ્યોએ એકસાથે રાજીનામું આપી દીધું છે. સાંજે, એક પછી એક સાત ધારાસભ્યોએ AAP માંથી રાજીનામું આપ્યું અને લગભગ 10 વાગ્યે, અરવિંદ કેજરીવાલની પાર્ટી સાથે સંબંધ તોડી નાખ્યા.
રાજેશ ઋષિના રાજીનામાંથી પક્ષમાં હાહાકાર
જનકપુરીના બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા રાજેશ ઋષિએ રાજીનામું આપ્યું છે. ટિકિટ કપાતાં નારાજ રાજેશ ઋષિએ પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આરોપ મૂક્યો હતો કે, પક્ષ મૂળ સિદ્ધાંતોને છોડી ભ્રષ્ટાચારમાં ઓતપ્રોત થયો છે.
'આપ' ભ્રષ્ટાચાર કરી રહી હોવાનો આરોપ
દિલ્હીની મહરોલી વિધાનસભા બેઠકમાંથી ધારાસભ્ય નરેશ યાદવે પણ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તે સતત ત્રણ વખત આ ક્ષેત્રમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. નરેશ યાદવે રાજીનામું આપતાં કહ્યું કે, 'આ પક્ષનો જન્મ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડાઈ લડતાં થયો હતો. પરંતુ હવે પક્ષ જ પોતે જ ભ્રષ્ટાચારમાં ડૂબ્યો છે.' અગાઉ ગત મહિને સિલમપુરમાંથી આપના ધારાસભ્ય અબ્લુદલ રેહમાને પણ પક્ષમાંથી રાજીનામું આપી આક્ષેપ કર્યો હતો કે, પક્ષ મુસ્લિમોના અધિકારોને સતત અવગણી રહ્યો છે. તેઓ મુસ્લિમ અને છેવાડાના સમુદાયોના અધિકારોને અવગણી રહ્યો છે.