સસ્તી પબ્લિસિટી માટે મારી સામે બદનક્ષીનો કેસ દાખલ કરાયો : રાહુલ
- કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યાં
- ઉ.પ્ર.ના સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 12 ઓગસ્ટે
સુલતાનપુર : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં આવેલ એમપી-એમએલએ કોર્ટમાં તેમની વિરુદ્ધના બદનક્ષીના કેસમાં હાજર થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે આ કેસ સસ્તી પબ્લિસિટી મેળવવા માટે દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીના વકીલ કાશી પ્રસાદ શુકલાએ સ્પેશિયલ જજ શુભમ વર્માને જણાવ્યું હતું કે કોંગ્રેસ સાંસદે ક્યારેય કોઇની પણ વિરુદ્ધ એવું નિવેદન આપ્યું નથી જેથી બદનક્ષીનો કેસ થાય.
કર્ણાટકની ચૂંટણી દરમિયાન બેંગાલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપના સ્થાનિક નેતાએ ૪ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરી હતી.
સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓગસ્ટના રોજ રાખી છે. આ તારીખે અરજકર્તાનું નિવેદન નોંધવામાં આવશે.
મિશ્રા વતી હાજર રહેલા વકીલ સંતોષકુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જજ સમક્ષ નિવેદન નોંધાવ્યું છે અને ૧૨ ઓગસ્ટના રોજ પુરાવાઓ રજૂ કરવામાં આવશે.આજે સવારે સુલતાનપુરની કોર્ટની બહાર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.