દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN.1 વેરિયન્ટના 109 કેસ, 3 રાજ્યોમાં સ્થિતિ વણસી

છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેરળમાં 353, કર્ણાટકમાં 74, મહારાષ્ટ્રમાં 34 કેસ નોંધાયા

વધુ 603 કોરોનાગ્રસ્ત દર્દી સાજા થયા : દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 4093 પર પહોંચી

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN.1 વેરિયન્ટના 109 કેસ, 3 રાજ્યોમાં સ્થિતિ વણસી 1 - image

નવી દિલ્હી, તા.27 નવેમ્બર-2023, બુધવાર

દેશમાં કોરોના વાયરસની સાથે સાથે તેના નવા વેરિયન્ટ JN.1ના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આજે કહ્યું કે, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 529 કેસ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસોની સંખ્યા વધીને 4093 પર પહોંચી ગઈ છે. બીજીતરફ કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના 109 કેસો સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે 8 કલાકે લેટેસ્ટ ડેટા જાહેર કર્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા છે, જેમાં કર્ણાટકના 2 અને ગુજરાતના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. તો વધુ 603 દર્દીઓ સાજા પણ થયા છે.

શિયાળો શરૂ થતા જ કોરોના કેસો વધ્યા

5 સપ્ટેમ્બર સુધીમાં કોરોના કેસોમાં ઘટાડો થયો હતો, જોકે શિયાળો શરૂ થતા કોરોના કેસો પણ વધી રહ્યા છે. બીજીતરફ કનવો વેરિયન્ટ જેએન-1ના વધતા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. 2020ની શરૂઆતમાં મહામારીએ માથુ ઉચકતા દૈનિક લાખો દર્દીઓ સંક્રમિત થતા હતા. અત્યાર સુધીમાં કુલ 4.5 કરોડથી વધુ કોરોનાનો સામનો કરી ચુક્યા છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 5.3 લાખ લોકોના મોત પણ નિપજ્યા છે. આરોગ્ય મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ મુજબ કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 4.4 કરોડે પહોંચી છે. દેશમાં સ્વસ્થ થવાનો દર 98.81 ટકા જ્યારે મૃત્યુદર 1.19 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને કોવિડ વેક્સિનનો ડોઝ અપાયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 529 કેસ, જુઓ રાજ્યવાર વિગત

દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN.1 વેરિયન્ટના 109 કેસ, 3 રાજ્યોમાં સ્થિતિ વણસી 2 - image

કોરોના વધતા કેસોથી ગભરાવાની જરૂર નથી : ડૉ.સૌમ્યા સ્વામીનાથન

દેશમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. જોકે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર નાદુસ્ત લોકોને મળવાનું ટાળે.

JN.1 સબ-વેરિયન્ટ શું છે ?

દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.


Google NewsGoogle News