દેશમાં કોરોનાના વધુ 605 કેસ, ચાર મોત, JN.1 વેરિયન્ટના 682 કેસ, સાવચેત રહેવું જરૂરી

કેરળમાં બે અને કર્ણાટક-ત્રિપુરામાં એક-એક કોરોના દર્દીના મોત

JN.1 વેરિયન્ટનો 14 રાજ્યમાં પગપેસારો, સૌથી વધુ કર્ણાટકમાં

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
દેશમાં કોરોનાના વધુ 605 કેસ, ચાર મોત, JN.1 વેરિયન્ટના 682 કેસ, સાવચેત રહેવું જરૂરી 1 - image

Covid 19 And JN.1 Variant Case in India : દેશમાં કોવિડ-19 કેસો ઉપરાંત ઓમિક્રોનના સબ વેરિયન્ટ JN.1ના કેસો પણ સતત વધી રહ્યા છે. કોરોનાના આજે 605 કેસ નોંધાવા ઉપરાંત વધુ 4 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે JN.1ના કુલ કેસોનો આંકડો 682 પર પહોંચી ગયો છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 4002 પર પહોંચી છે. આ માહિતી આરોગ્ય મંત્રાલયે આપી છે.

JN.1ના કુલ 682 કેસ

દેશમાં કોરોનાથી વધુ ચાર દર્દીના મોત થયા છે, જેમાં કેરળમાં બે અને કર્ણાટક-ત્રિપુરામાં 1-1નું મોત થયું છે. નવા વેરિયન્ટની વાત કરીએ તો 7 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં JN.1ના કુલ 682 કેસ સામે આવ્યા છે, જેમાં કર્ણાટકમાંથી 199, કેરળમાંથી 148, મહારાષ્ટ્રમાંથી 139, ગોવામાં 47, ગુજરાતમાં 36, આંધ્રપ્રદેશમાંથી 30, રાજસ્થાનમાંથી 30, તમિલનાડુમાંથી 26, દિલ્હીમાં 21, ઓડિશામાંથી ત્રણ, તેલંગાણા-હરિયાણામાં એક-એક કેસ નોંધાયા છે.

JN.1 સબ-વેરિયન્ટ શું છે ?

દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

JN.1ના લક્ષણો ?

સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુ:ખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.

સ્વસ્થ થયા બાદ પણ લક્ષણો

નવા વેરિયન્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, સ્વસ્થ થવા છતાં દર્દીમાં લક્ષણો યથાવત્ રહે છે, જેમાં માથું દુઃખું, થાક લાગવો, શ્વાસની સમસ્યા સામેલ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઓછામાં ઓછા 4થી 6 અઠવાડિયા બાદ દર્દી આ લક્ષણોમાંથી બહાર આવે છે.

નવા વેરિયન્ટથી બચવા માસ્ક પહેરવું જોઈએ?

અગાઉ પબ્લિક હેલ્થ ડાયરેક્ટરની સલાહે આપી હતી કે, લગ્ન પ્રસંગે, ટ્રેન કે બસ તેમન જે જગ્યાઓએ ખૂબ ભીડ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે. તે માત્ર  કોવિડ જ નહિ પરંતુ હવાથી ફેલાતી અન્ય બીમારીથી પણ તમારું રક્ષણ કરશે. પરંતુ હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઈ જરૂરિયાત નથી. વડીલો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેમજ જેમને શરદી, ઉધરસ કે શ્વાસની તકલીફ છે તેમણે પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને રાખવું જોઈએ. 


Google NewsGoogle News