કોરોના BF.7 એક મહિના પહેલા આવી ગયો PM મોદીએ મીટિંગ આજે કરી, આ છે કારણ : જયરામ રમેશ
'ભારત જોડો યાત્રા' દિલ્હી પહોંચવાની, તમે ઘટનાક્રમ સમજો: જયરામ રમેશ
Image: screen grab (sansad tv) |
કોવિડ મહામારીના નવા ખતરાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા બેઠક બોલાવી છે. જેના પર કોંગ્રેસે આકરી ટીકાઓ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, તમે ઘટનાક્રમ સમજો. કોંગ્રેસ પાર્ટી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રાહુલ ગાંધીને લખેલા પત્રનો ઉલ્લેખ કરી રહી હતી. આ પત્રમાં માંડવિયાએ કોવિડની નવી ચિંતાને કારણે રાહુલને તેમની ભારત જોડો યાત્રા પર નિયમોના અમલને લઇ વિનંતી કરવામાં હતી. ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના મામલા થોડા મહિના પહેલા સામે આવ્યા હતા, પરંતુ PMની આ બેઠક ત્યારે થઈ રહી છે જ્યારે 'ભારત જોડો યાત્રા' દિલ્હી પહોંચવાની છે.
ગઈકાલે રાહુલ ગાંધીને પત્ર અને આજે PMની સમીક્ષાઃ જયરામ રમેશ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, 'જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં ગુજરાત અને ઓડિશામાં Omicron સબ-વેરિઅન્ટના BF.7ના 4 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ ગઈકાલે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો અને આજે વડાપ્રધાન સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. 'ભારત જોડો યાત્રા' એક દિવસ પછી દિલ્હીમાં પ્રવેશ કરશે. હવે તમે ઘટનાક્રમ સમજો. વડાપ્રધાન મોદી આજે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડ-19ની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરશે. અગાઉ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈકાલે ઘણા દેશોમાં વધતા કોવિડ -19ના તાજેતરના કેસોને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક યોજી હતી.
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર કોવિડની ચિંતાઓને લઈને ભારત જોડો યાત્રાને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ ગઈકાલે બીજેપીને કર્ણાટક અને રાજસ્થાનમાં માર્ચ કાઢવા તરફ ઈશારો કર્યો હતો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને વિનંતી કરી છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન ન થઈ શકે તો ભારત જોડો યાત્રાને મોકૂફ રાખવા અંગે વિચારણા કરવી જોઈએ. ભારત જોડો યાત્રા બુધવારે રાજસ્થાનથી હરિયાણામાં પ્રવેશી છે. તે 24 ડિસેમ્બરે દિલ્હીમાં પ્રવેશ કરશે અને લગભગ નવ દિવસના વિરામ બાદ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ અને કાશ્મીર તરફ આગળ વધશે.