અયોધ્યામાં મે મહિનામાં ભવ્ય મસ્જિદનું બાંધકામ શરૂ થશે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
અયોધ્યામાં મે મહિનામાં ભવ્ય મસ્જિદનું બાંધકામ શરૂ થશે 1 - image


- પાંચના બદલે 11 એકરમાં બાંધકામ થશે 

- મસ્જિદના પ્રાંગણમાં 500 બેડની કેન્સર હોસ્પિટલ અને બે કોલેજોની પણ સ્થાપના કરશે 

અયોધ્યા : અયોધ્યામાં આ વર્ષે મે મહિનામાં ભવ્ય મસ્જિદનું બાંધકામ શરૂ કરવામાં આવશે. જેને તૈયાર કરવામાં આશરે ત્રણથી ચાર વર્ષનો સમય લાગશે. આ મસ્જિદની સ્થાપના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે ફાળવેલી જમીન પર કરવામાં આવશે. જેની જવાબદારી ઇન્ડો-ઇસ્લામિક કલ્ચર ફાઉન્ડેશનને સોપવામાં આવી છે. 

આ ફાઉન્ડેશનના એક સભ્ય હાજી અરફત શેખે રોઇટર સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ મસ્જિદના બાંધકામ માટે લોકો પાસેથી ફંડ ઉઘરાવવામાં આવશે, ક્રાઉડ ફન્ડિંગ માટે વેબસાઇટ જાહેર કરવામાં આવશે. અયોધ્યાની નવી મસ્જિદનું નામ  મુહમ્મદ બિન અબ્દુલ્લાહ રાખવામાં આવશે. અમારો પ્રયાસ લોકોમાં નફરતને ઘટાડવાનો અને પ્રેમ ફેલાવવાનો રહેશે. આ તમામ લડાઇ ત્યારે અટકશે જ્યારે આપણે આપણા બાળકોને સારી બાબતો શીખવતા થઇ જઇશું. 

તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં જે સ્થળે મસ્જિદ બનવા જઇ રહી છે તેના કોમ્પ્લેક્સમાં ૫૦૦ બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. સંગઠનના સેક્રેટરી અતહર હુસૈને જણાવ્યું હતું કે મસ્જિદનું બાંધકામ મોડુ શરૂ થઇ રહ્યું છે કેમ કે સમગ્ર પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ પાંચ એકર જમીન પર મસ્જિદ બનાવવાની હતી, જોકે હવે તેમાં વધારો કરીને ૧૧ એકર કરવામાં આવી છે. 

પાંચ એકર સરકાર તરફથી મળી છે જ્યારે અન્ય છ એકર જમીન વકફ બોર્ડ તરફથી મળી છે. ૫૦૦ બેડની કેન્સર હોસ્પિટલ, બે કોલેજ અને એક અનાથ આશ્રમ પણ આ મસ્જિદના કોમ્પ્લેક્સમાં સ્થાપવામાં આવશે.

 જેમાં શાકાહારી કિચનની પણ સ્થાપના કરાશે. આ એક એવું ધાર્મિક સ્થળ બનાવાશે કે જ્યાં દરેક ધર્મના લોકો આવી શકશે. મે મહિનામાં આ મસ્જિદ, કોલેજ, હોસ્પિટલનું બાંધકામ શરૂ કરાશે.   


Google NewsGoogle News