રાહુલ ગાંધીને ઝટકો, વાયનાડમાં પાર્ટીના મહત્ત્વના પદાધિકારી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીને ઝટકો, વાયનાડમાં પાર્ટીના મહત્ત્વના પદાધિકારી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મોટો ઝટકો લાગ્યો છે. વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ પી.એમ. સુધાકરન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.

રાજીનામું આપવાનું આ કારણ 

પી.એમ. સુધાકરને રાજીનામું આપવાનું કારણ આપતાં કહ્યું કે અમારા માટે વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા સુધી પહોંચવું સરળ નહોતું, અમે અમારા વિચારો વ્યક્ત કરી શકતા ન હતા. તેમણે કહ્યું કે જો મારી સાથે આવું થતું હોય તો સામાન્ય જનતા સાથે શું થતું હશે. 

પીએમ મોદીના વખાણ કર્યા

ભાજપમાં જોડાયા બાદ સુધાકરને પીએમ મોદીની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હું પીએમ મોદીના વિકાસ કાર્યોથી ખૂબ પ્રભાવિત છું અને તેથી જ હું ભાજપમાં જોડાઈ રહ્યો છું.  જો કેરળના લોકો પણ વિકાસ ઈચ્છતા હોય તો કે. સુરેન્દ્રનને વાયનાડથી સાંસદ તરીકે ચૂંટે. વાયનાડના લોકોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને ચૂંટવાથી ઘણો ફાયદો થશે.

કેરળમાં 26 એપ્રિલે મતદાન

ઉલ્લેખનીય છે કે કેરળમાં લોકસભા ચૂંટણી માટે 26 એપ્રિલે 20 સીટો પર એક સાથે મતદાન થવાનું છે. અહીં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રન ચૂંટણી મેદાને ઉતર્યા છે. 

રાહુલ ગાંધીને ઝટકો, વાયનાડમાં પાર્ટીના મહત્ત્વના પદાધિકારી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા 2 - image


Google NewsGoogle News