'કામ ન થતું હોય તો રિટારમેન્ટ લઈ લો...' મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ નેતાઓને આપ્યો ઠપકો
Congress President Mallikarjun Kharge: કોંગ્રેસે આગામી ચૂંટણીઓ માટે અગાઉથી જ તાડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. પહેલાં બિહાર અને હવે ગુજરાતમાં ચૂંટણી માટે પોતાના કાર્યકરો અને નેતાઓમાં જુસ્સો જગાડવા પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયેલા કોંગ્રેસ અધિવેશનને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પક્ષના નેતાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. તેમણે પક્ષના નેતાઓ અને કાર્યકરોને કામ ન થતું હોય તો રિટાયરમેન્ટ લઈ લેવા કહ્યું છે.
ખડગેએ કહ્યું કે, સંગઠનમાં જિલ્લા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષની ભૂમિકામાં વધારો કરવામાં આવશે. તેમજ તેમની નિમણૂક અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા જારી દિશા-નિર્દેશો અનુસાર, કડક અને નિષ્પક્ષતાથી કરવી જોઈએ. જિલ્લા અધ્યક્ષે પોતાની નિમણૂકના એક વર્ષની અંદર સર્વશ્રેષ્ઠ લોકો સાથે જોડાઈ બૂથ સમિતિ, મંડલ સમિતિ, બ્લોક સમિતિ અને જિલ્લા સમિતિ બનાવવાની છે. જેમાં કોઈ પક્ષપાત કરવામાં આવશે નહીં.
પક્ષમાં મદદ નથી કરી શકતા તો આરામ લઈ લો...
ખડગેએ પક્ષમાં નિષ્ક્રિય ભૂમિકા ભજવતાં લોકોને આકરા શબ્દોમાં કહી દીધું છે કે, જે લોકો પક્ષમાં કામ કરી શકતા નથી. તેમણે આરામ કરવાની જરૂર છે. તેઓ પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તેમણે હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. પક્ષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના સિદ્ધાંતોને આધિન કામ કરે છે. આજે આપણે સાબરમતીના તટ પરથી દેશને આગળ વધારવાનો પ્રયાસ શરુ કરીશું.
એકતામાં તાકાત
ખડગેએ સરદાર પટેલની વાતોને યાદ કરાવતાં કહ્યું કે, એકતા વિના સંખ્યા કોઈ કામની નથી. સંખ્યા વાસ્તવિક શક્તિ નથી, એકતા છે. સૂતરના દોરા પણ અલગ-અલગ હોય તો તે ઝડપથી તૂટી જાય છે. પરંતુ જ્યારે તે એકસાથે ભેગા થઈ જાય તો તેને તોડવા અશક્ય છે. તે જાડું કાપડું બને છે. ત્યારે તેની શક્તિ, સુંદરતા અને ઉપયોગિતા અદ્ભૂત બની જાય છે.
આપણે ફરી આઝાદી માટે લડવાનું છે
કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, આપણે ફરી ભારતની આઝાદી માટે લડવાનું છે. આ વખતે આઝાદીની લડાઈ અન્યાય, અસમાનતા, ભેદભાવ, ગરીબી અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ છે. તેમાં ફરક માત્ર એટલો જ છે કે, પહેલાં વિદેશી લોકો અન્યાય, ગરીબી અને અસમાનતાને વેગ આપતા હતા. આજે આપણી સરકાર જ આ પ્રકારની નીતિઓ અપનાવી રહી છે. આપણે આ લડાઈ જીતવાની છે.