તમે રામલલાને કાળા બનાવી દીધા', કોંગ્રેસ ધારાસભ્યના ભાજપ પર પ્રહાર
- રામલલાની આ મૂર્તિ મૈસુરના શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે
નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર
Uttarakhand Assembly: ઉત્તરાખંડ વિધાનસભા સત્રની કાર્યવાહી દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પર દલીલ જોવા મળી હતી. આ સાથે જ અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિના રંગ પર પણ કોંગ્રેસના ધારાસભ્યની ટિપ્પણી ચર્ચામાં રહી હતી. ઉત્તરાખંડ વિધાનસભામાં જસપુરથી કોંગ્રેસના ધારાસભ્ય આદેશ સિંહ ચૌહાણ UCC અંગે બોલી રહ્યા હતા ત્યારે તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યે કહ્યું કે, અમે પણ મંદિરના નિર્માણનું સ્વાગત કરીએ છીએ પરંતુ મને એ નહીં સમજાયું કે અમે પુસ્તકોમાં વાંચ્યું હતું કે અમારા રામ શ્યામ વર્ણના હતા પરંતુ હવે તેમને કાળા બનાવી દેવામાં આવ્યા.
ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કર્યું
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યની આ ટિપ્પણીથી ગૃહમાં વિવાદ સર્જાઈ ગયો હતો અને ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્ય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં નાણા અને સંસદીય કાર્ય મંત્રી પ્રેમચંદ અગ્રવાલે કોંગ્રેસના ધારાસભ્ય આદેશ સિંહ ચૌહાણ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ ભગવાન રામ પર આવી ટિપ્પણી કેવી રીતે કરી શકે છે? ગૃહમાં આ હંગામા વચ્ચે ભાજપના ધારાસભ્યો દ્વારા જય શ્રી રામના નારા લગાવવા પર કોંગ્રેસના ધારાસભ્યો દલીલ કરતા રહ્યા.
પ્રેમચંદ અગ્રવાલે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવ્યો
ગૃહમાં બેઠેલા બીજેપી નેતા પ્રેમચંદ અગ્રવાલે કોંગ્રેસ પર વોટ બેંકની રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે, તમે વોટ માટે કંઈ પણ કરી શકો છો. આ સાથે બીજેપી નેતાએ કોંગ્રેસના ધારાસભ્યને આવી ટિપ્પણી ન કરવા વિનંતી કરી હતી. 22 જાન્યુઆરીના રોજ એક ભવ્ય સમારોહ દરમિયાન રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રામલલાની આ મૂર્તિ મૈસુરના શિલ્પી અરુણ યોગીરાજ દ્વારા કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે. રામલલાની મૂર્તિ જે પથ્થરમાંથી બનાવવામાં આવી છે તે કર્ણાટકથી લાવવામાં આવેલ વિશેષ કાળો ગ્રેનાઈટ છે.