'I.N.D.I.A' ગઠબંધનમાં તિરાડ!, મમતાએ ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસે કહ્યું- ઈડી-સીબીઆઈથી ડરી ગયા

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
'I.N.D.I.A' ગઠબંધનમાં તિરાડ!, મમતાએ ઉમેદવારો જાહેર કરતા કોંગ્રેસે કહ્યું- ઈડી-સીબીઆઈથી ડરી ગયા 1 - image


West Bengal Politics : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ લોકસભા ચૂંટણી માટે રાજ્યની તમામ 42 બેઠકો પર ઉમેદવારોનું એલાન કરી દીધું છે. તૃણમૂલના આ એલાનની સાથે જ બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના રસ્તા જૂદા પડી ગયા છે. બંગાળમાં 'I.N.D.I.A' ગઠબંધનને જમીન પર ઉતારવાની તમામ સંભાવનાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. કોંગ્રેસની પાસે બંગાળમાં હવે માત્ર લેફ્ટ પાર્ટીઓની સાથે ગઠબંધનની આશા છે. ટીએમસી તરફથી ઉમેદવારોના એલાન પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે અને ગઠબંદન વિડ્રોલ પહેલા ગમે ત્યારે થઈ શકે છે.' કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, 'કોંગ્રેસે હંમેશા કહ્યું છે કે, તેઓ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલની સાથે એક સન્માનજનક બેઠક વહેંચણીનો ફોર્મ્યુલા ઈચ્છે છે. જેનો મતલબ એકબીજા સાથે વાતચીત છે. એક તરફથી ગિવ એન્ડ ટેક (એક હાથથી લો અને બીજા હાથથી આપો) અને કેટલીક સમજૂતી. અમે હંમેશા કહ્યું છે કે, વાતચીત અને બેઠક વહેંચણી માટે અમારા દરવાજા હંમેશા માટે ખુલ્લા છે, પરંતુ બેઠકોની એકતરફી જાહેરાત ન થવી જોઈએ.'

ખબર નહીં તૃણમૂલ પર શું દબાણ હતુંઃ જયરામ રમેશ

તેમણે કહ્યું કે, 'અમે બેઠકોની જાહેરાત એક સાથે કરવા ઈચ્છતા હતા જેમ કે દિલ્હી, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને મહારાષ્ટ્રમાં અમે કર્યું. હવે ટીએમસીએ બેઠક વહેંચણી કરી દીધી છે. જોકે, અમને નથી ખબર કે તૃણમૂલ પર શું દબાણ હતું, પરંતુ જ્યાં સુધી અમારી વાત છે તો અમે પશ્ચિમ બંગાળમાં ઈન્ડિયા ગઠબંધનને મજબૂત કરવા ઈચ્છીએ છીએ. હવે આગળ જોઈએ છીએ કે શું થાય છે.'

તૃણમૂલ પણ વિપક્ષી પાર્ટીઓના ઈન્ડિયા ગઠબંધનનો ભાગ હતી, પરંતુ હવે તેણે ઉમેદવારોનું એલાન કરીને સ્પષ્ટ કરી દીધું છે કે બંગાળમાં તેના રસ્તા અલગ છે અને કોંગ્રેસના રસ્તા અલગ છે. તૃણમૂલ અને કોંગ્રેસમાં મતભેદ તે સમયથી જ જોવા મળી રહ્યા હતા જ્યારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર મંચથી ચેતવણી આપી હતી.

મમતા બેનરજીએ શું કહ્યું હતું?

મમતા બેનરજીએ કહ્યું હતું કે, 'મને સમજમાં નથી આવતું કે કોંગ્રેસ પાર્ટીને કઈ વાતનું અભિમાન છે. મને નથી લાગતું કે કોંગ્રેસ ચૂંટણીમાં 300થી વધુ બેઠકો પર લડીને 40 બેઠકો પણ જીતી શકશે કે નહીં. કોંગ્રેસમાં જો હિમ્મત હોય તો તેઓ વારાણસીમાં જઈને ભાજપને હરાવીને બતાવે.'

અધીર રંજન ચૌધરી અને યુસુફ પઠાણ આમને-સામને!

તૃણમૂલે બહરામપુર બેઠકથી મમતાએ ક્રિકેટર યુસુફ પઠાણને ટિકિટ આપી છે. આ બેઠકથી અધીર રંજન ચૌધરી સાંસદ છે. આ તેમની પરંપરાગત બેઠક છે. તેઓ ત્યાંથી 1999થી સાંસદ છે. મનાવામાં આવી રહ્યું છે કે યુસુફ પઠાણના આ બેઠક પરથી ઉતર્યા બાદ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે.

મમતા યુસુફ પઠાણ માટે ગુજરાતથી એક બેઠક માંગી લેત...: અધીર રંજન 

ત્યારે હવે અધીર રંજન ચૌધરીની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, 'યુસુફ પઠાણને સન્માનિત કરવા હતા તો તૃણમૂલ તેમને રાજ્યસભાના સભ્ય બનાવીને સાંસદ પદ આપી શકતી હતી. અથવા તો યુસુફ પઠાણ માટે ગુજરાતમાં ગઠબંધનથી એક બેઠક માંગી લેત. પરંતુ તેઓ સામાન્ય લોકોમાં ભાગલા પડવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભાજપ જીતે અને કોંગ્રેસ પાર્ટી હારે. મમતા બેનરજીની પોતાની નિયતનો સવાલ છે. મમતા બેનરજી  'I.N.D.I.A.' ગઠબંધનના પ્રવક્તા તરીકે થોડા દિવસો પહેલા ઓળખાતા હતા. પરંતુ હવે તેમણે ખુદ આજે સાબિત કરી દિધું છે કે, ભારતની કોઈ રાજકીય પાર્ટી મમતા બેનરજીની નિયત પર ભરોસો ના કરે. જેમની જુબાનનો કોઈ મતલબ નથી હોતો, જેના વિચારમાં કાયરતા અને ચાલાકી છે, તેના પર ભરોસો ના કરવો જ યોગ્ય છે.'

આ ઉપરાંત અધીર રંજને કહ્યું કે, 'તેને ડર છે કે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈશું તો કેન્દ્ર સરકાર ઈડી-સીબીઆઈ મોકલી દેશે. તૃણમૂલ પર ખતરો વધી શકે છે અને મોદીજી ગુસ્સામાં ન આવે તે માટે ગઠબંધનથી ખુદને અલગ કરી દીધા છે. સાથે કેન્દ્ર સરકારને સંદેશ મોકલ્યો છે કે અમારાથી નારાજ ન થાઓ. હું ગઠબંધનમાં નથી. મતલબ ભાજપથી મુકાબલો કરવા માટે હું નથી ઉભી.

જુઓ કઈ બેઠક પરથી કયા ઉમેદવારને ટિકિટ?

1. કૂચ બિહાર (SC)- જગદીશ ચંદ્ર બસુનિયા

2. અલીપુરદ્વાર (ST)- પ્રકાશ ચિક બડાઈક

3. જલપાઈગુડી (SC)- નિર્મલ ચૌધરી રોય

4. દાર્જિલિંગ- ગોપાલ લામા

5. રાયગંજ- કૃષ્ણા કલ્યાણી

6. બાલુરઘાટ- બિપ્લબ મિત્રા

7. માલદા ઉત્તર- પ્રસુન બેનરજી

8. માલદા દક્ષિણ- શાહનવાઝ અલી રાયહાન

9. જાંગીપુર- ખલીલુર્ર રહેમાન

10. બરહામપુર- યુસુફ પઠાણ

11. મુર્શિદાબાદ- અબુ તાહેર ખાન

12. કૃષ્ણનગર- મહુઆ મોઇત્રા

13. રાણાઘાટ (SC)- મુકુટ મણિ અધિકારી 

14. બોનગાંવ- વિશ્વજીત દાસ

15. બેરકપુર- પાર્થ ભૌમિક

16. દમ દમ- પ્રોફેસર સૌગત રોય

17. બારાસત- કાકોલી ઘોષ દસ્તીદાર

19. જોયનગર (SC)- પ્રતિમા મંડળ

20. મથુરાપુર (SC)- બાપી હલદર

21. ડાયમંડ હાર્બર- અભિષેક બેનરજી

22. જાદવપુર- સાયોની ઘોષ

23. કોલકાતા દક્ષિણ- માલા રોય

24. કોલકાતા ઉત્તર- સુદીપ બંદોપાધ્યાય

25. હાવડા- પ્રસુન બેનરજી

26. ઉલુબેરિયા- સજદા અહેમદ

27. સેરામપુર- કલ્યાણ બેનરજી

28. હુગલી- રચના બેનરજી

29. આરામબાગ (SC)- મિતાલી બાગ

30. તમલુક- દેબાંશુ ભટ્ટાચાર્ય

31. કાંથી- ઉત્તમ બારિક

32. ઘાટલ- દીપક અધિકારી (દેવ)

33. ઝારગ્રામ (ST)- કાલીપાડા સોરેન

34. મેદિનીપુર- જૂન માલિયા

35. પુરુલિયા- શાંતિરામ મહંતો

36. બાંકુરા- અરૂપ ચક્રવર્તી

37. બિષ્ણુપુર (SC)- સુજાતા મંડળ

38. બર્ધમાન પૂર્વા (SC)- ડૉ. શર્મિલા સરકાર

39. બર્ધમાન દુર્ગાપુર- કીર્તિ આઝાદ

40. આસનસોલ- શત્રુઘ્ન સિંહા

41. બોલપુર (SC)- અસિત કુમાર મલ

42. બીરભૂમ- શતાબ્દી રોય


Google NewsGoogle News