‘ભાજપ હવે અવાજ ઉઠાવનારાઓ પર વાર કરી રહી છે’ સંસદમાં સુરક્ષા ચૂક મામલે 15 સાંસદોને સસ્પેન્ડ કરાતા ભડકી કોંગ્રેસ

સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દાને ભટકાવવા અને સરકારની નિષ્ફળતા છુપાવવા સભ્યોને સસ્પેન્ડ કરાયા : કોંગ્રેસ

સંસદમાં ગેરહાજર તમિલનાડુના સાંસદને પણ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ સસ્પેન્ડ કરાયા : જયરામ રમેશ

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
‘ભાજપ હવે અવાજ ઉઠાવનારાઓ પર વાર કરી રહી છે’ સંસદમાં સુરક્ષા ચૂક મામલે 15 સાંસદોને સસ્પેન્ડ કરાતા ભડકી કોંગ્રેસ 1 - image

નવી દિલ્હી, તા.14 નવેમ્બર-2023, ગુરુવાર

સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક (Smoke Bomb Attack) કરવાની ઘટનામાં આરોપીઓ પકડાઈ ગયા બાદ બંને ગૃહોમાંથી 15 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ ભડકી ઉઠી છે. કોંગ્રેસે સભ્યોને સસ્પેન્ડ કરવાની બાબતને ‘લોકશાહીનું સસ્પેન્શન’ ગણાવતા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દાને ભટકાવવા અને સરકારની નિષ્ફળતા છુપાવવા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાના કુલ 13 સભ્યો અને રાજ્યસભામાંથી તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

‘ભાજપ હવે અવાજ ઉઠાવનારાઓ પર વાર કરી રહી છે’

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વિટ કરી જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને આપણા લોકશાહીના મંદિર સંસદની સુરક્ષાને ખતરામાં મુક્યા બાદ ભાજપ હવે અવાજ ઉઠાવનારાઓ પર વાર કરી રહી છે. 15 સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવા લોકશાહીનું સસ્પેન્શન છે. તેમણે કહ્યું કે, ‘તેમનો અપરાધ શું છે ? શું સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી પાસે નિવેદન માંગવું અપરાધ છે ? શું સુરક્ષામાં ચુક મામલે ચર્ચા કરવો ગુનો છે ? શું આવું કરવું તાનાશાહી છે, જે વર્તમાન વ્યવસ્થાની ઓળખ બની ગઈ છે ?’

‘સુરક્ષા ચુક અંગે સંસદમાં ચર્ચા કરાવવી જોઈએ’

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખીને કહ્યું કે, સંસદની સુરક્ષામાં ચૂક ગંભીર ચિંતાનો વિષય છે. આ મામલે સંસદમાં નિયમ 267 હેઠળ ચર્ચા કરાવવી જોઈએ. નિયમ 267 હેઠળ નોટિસ મળ્યા બાદ રાજ્યસભામાં બાકીનું કામ સ્થગિત કરી સભ્યો દ્વારા ઉઠાવાયેલા વિષય પર ચર્ચા કરાવવામાં આવે છે.

સંસદમાં ગેરહાજર સભ્યોને પણ સસ્પેન્ડ કરાયા : જયરામ રમેશ

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે એક્સ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, ગઈકાલે લોકસભામાં બનેલી ઘટના અત્યંત ચિંતાજનક હતી. આજે લોકસભામાં જે થયું, તે સંપૂર્ણ વિચિત્ર છે. સંસદમાં ગેરહાજર રહેનાર તમિલનાડુના સાંસદ નવી દિલ્હીથી બહાર હતા. તેમને પણ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ સસ્પેન્ડ કરાયા... સંસદમાં ઘૂસણખોરી કરનારાઓને મદદ કરનાર ભાજપના કોઈપણ સાંસદો સામે કાર્યવાહી ન થઈ...


Google NewsGoogle News