સામ પિત્રોડાનું નિવેદન વ્યક્તિગત: ચીન મુદ્દે વિવાદ બાદ કોંગ્રેસની સ્પષ્ટતા
Sam Pitroda China Remark: કોંગ્રેસ નેતા સામ પિત્રોડાના વધુ એક નિવેદને વિવાદ ઊભો કર્યો છે. તેમના આ નિવેદનથી કોંગ્રેસથી દૂરી છતી થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે 17 ફેબ્રુઆરી, 2025, સોમવારે એક નિવેદન આપી સ્પષ્ટતા કરી હતી કે, સામ પિત્રોડાએ ચીન પર વ્યક્ત કરેલા વિચારો પોતાના વ્યક્તિગત છે, પાર્ટીના સત્તાવાર વિચારો નથી.
આ અંગે તેમણે વધુ વાત કરતાં કહ્યું કે, ચીન ભારતની વિદેશ નીતિ, બાહ્ય સુરક્ષા અને આર્થિક ક્ષેત્ર માટે સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસે અગાઉ મોદી સરકારની ચીન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમાં પણ ખાસ કરીને 19 જૂન, 2020ના રોજ વડાપ્રધાન દ્વારા ચીનને આપવામાં આવેલી ક્લીનચીટ પર. કોંગ્રેસનું ચીન પર હાલમાં જ સત્તાવાર નિવેદન 28 જાન્યુઆરી, 2025ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ચીન સાથેના ભારતના સંબંધો અને સરકારની વ્યૂહરચના પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ચીન સાથેના સંબંધો સામાન્ય કરવા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
જયરામ રમેશે કહ્યું કે, 'કોંગ્રેસે મોદી સરકારની ચીન સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની જાહેરાતની નોંધ લીધી છે, પરંતુ સવાલ એ થાય છે કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે કે, જ્યારે 2024ના ડિસએન્ગેજમેન્ટ કરાર સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી.
લદ્દાખમાં 2,000 ચોરસ કિ.મી. વિસ્તાર પાછો મેળવવા શું પગલાં લેવાયા ?
તેમણે લદ્દાખમાં 2,000 ચોરસ કિ.મી. વિસ્તાર પાછો મેળવવા શું પગલાં લેવામાં આવ્યા તે અંગે વાત કરતાં કહ્યું કે, 'ભારત અને ચીન હાલમાં જ વાણિજ્યિક અને સાંસ્કૃતિક સંબંધો પુનઃસ્થાપિત કરવા સંમત થયા છે, જેમાં સીધી ફ્લાઇટ્સ, કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરુ કરવા અને ઉદાર વિઝા નીતિ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ સરકારે તેમાં જણાવ્યું નથી કે, લદ્દાખમાં 2,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પાછો મેળવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે, જ્યાં ભારતીય સેના 2020 સુધી પેટ્રોલિંગ કરી રહી હતી.'
ભારત-ચીન સરહદ વિવાદ: 2020 ની સ્થિતિ કેમ પૂર્વવત્ ન થઈ ?
કોંગ્રેસે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું કે, શું મોદી સરકાર ચીન પાસેથી એપ્રિલ 2020ની યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ ગઈ છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, અમે એપ્રિલ 2020ની સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માંગીએ છીએ. 3 ડિસેમ્બર 2024ના રોજ વિદેશ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, "કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિને કાયમી ધોરણે બદલવા માટે કામચલાઉ પગલાં લેવામાં આવ્યા છે."
આ સંકેત આપે છે કે, ભારત ચીન સાથે 'બફર ઝોન' બનાવવા પર સહમતિ બતાવી છે, જેથી ભારતીય સૈનિકો અને પશુપાલકો પહેલાની જેમ ત્યાં નહીં જઈ શકે. કોંગ્રેસે કહ્યું કે, આ નીતિ 1986ના સુમડોરિંગ ચુ અને 2013ના ડેપ્સાંગ વિવાદોથી અલગ છે, જ્યાં ભારતની સ્થિતિ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી કોઈ સમાધાન થયું ન હતું.
વડાપ્રધાનના નિવેદન પર આરોપ લગાવતા જયરામ રમેશે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી ચીનને ફાયદો થયો. કારણ કે જ્યારે જ્યારે વડા પ્રધાને કહ્યું કે 'ન તો કોઈ આપણી સરહદમાં પ્રવેશ્યું છે, ન તો કોઈ અંદર છે', ત્યારે ચીનને ચાર વર્ષ સુધી વાતચીતને ખેંચવાની તક મળી. અને આ સમયગાળા દરમિયાન ચીને વ્યૂહાત્મક ક્ષેત્રો પર પોતાનો મજબૂત કબજો જમાવી લીધો અને ભારત-ચીન વેપારમાં પણ વધારો થયો.
આત્મનિર્ભર ભારત પર પણ સવાલ ઊભા થયા
કોંગ્રેસે મોદી સરકાર આરોપ લગાવ્યા કે,'ચીન પર નિર્ભરતા ઘટાડવાને બદલે વધારવામાં આવી છે.' વર્ષ 2019-20માં 70 અબજ ડૉલર હતી, 2023-24માં 102 અબજ ડૉલર હતી. મોદી સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાન ચલાવવા છતાં પણ ચીનથી આયાત રૅકોર્ડ મોટા પ્રમાણમાં વધેલો જોવા મળી રહ્યો છે. જેથી સરકારની નીતિઓ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.