નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- 'મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ'
ઝારખંડના ગોડ્ડાથી ભાજપ સાંસદ નિશિકાંત દુબે સુપ્રીમ કોર્ટ પર નિવેદન આપીને બરાબરના ફસાયા છે. ભલે પાર્ટીએ તેમના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું હોય પરંતુ તેમના વિરોધી તેમના પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે નિશિકાંત દુબેને લઈને મોટો દાવો કરી દીધો છે.
નિશિકાંત દુબેના નિવેદન પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, 'નિશિકાંત દુબે મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ કરવા લાગ્યા છે અને તેમાં ભાજપના મોટા નેતાઓની તેમને છૂટ મળી છે. ભાજપે પણ કહ્યું છે કે, આ તેમનું અંગત નિવેદન છે અને ભાજપે પણ તેનાથી ખુદને અલગ કરી લીધું છે પરંતુ ભાજપ જો ઈમાનદાર છે તો આવા નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દે. ભાજપની પણ તેમા મિલીભગત છે. સુપ્રીમ કોર્ટને પણ સ્વત સંજ્ઞાન લેતા નિશિકાંત દુબે પર એક્શન લેવા જોઈએ.'
દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે, 'જો ભાજપના પસંદ કરાયેલા સાંસદ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ પર આ પ્રકારે નિવેદન આપે છે તો આ સુપ્રીમ કોર્ટની માનહાનિ છે. તેમના પર કન્ટેમ્પ્ટ લગાવવું જોઈએ.'
જણાવી દઈએ કે, નિશિકાંત દુબે દ્વારા સુપ્રીમ કોર્ટ પર કરવામાં આવેલી ટિપ્પણીથી હોબાળો મચ્યો છે. વિપક્ષી દળના નેતા ભાજપ સાંસદના નિવેદનને લઈને સતત આક્રમકતા દાખવી રહ્યું છે. ત્યાં સુધી કે નિશિકાંત દુબેને પાર્ટીમાંથી હાંકી કાઢવાની માગ પણ કરાઈ રહી છે. જો કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે, ભાજપ આવા નિવેદનોનું સમર્થન નથી કરતી.