કોમેડિયન કુણાલ કામરાની શિંદે પર ટિપ્પણીથી હોબાળો, હોટેલ-સ્ટુડિયોમાં શિવસૈનિકોની તોડફોડ
Kunal Kamra and eknath Shinde News : એક પછી એક કોમેડિયન તેમના નિવેદનને લઈને વિવાદમાં ફસાતા જઇ રહ્યા છે. તાજેતરનો મામલો કોમેડિયન કુણાલ કામરાને લગતો છે. કુણાલ કામરા આ વખતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહીને ફરી એકવાર વિવાદમાં ફસાઈ ગયો છે.
શું છે મામલો?
માહિતી અનુસાર કુણાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબર ચેનલ પર મહારાષ્ટ્રના રાજકારણ અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે નામ લીધા વિના જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે વ્યંગાત્મક પ્રહાર કર્યા હતા.
વીડિયો વાઇરલ થતાં જ શિવસૈનિકો ભડક્યાં
જોકે આ વીડિયો સામે આવતા જ એકનાથ શિંદેની સેનાના શિવસૈનિકો ભડક્યાં હતા અને તેમણે રવિવારે મુંબઈના ખાર વિસ્તારમાં આવેલા સ્ટુડિયો અને હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. આ સ્ટેન્ડ અપ કોમેડી શૉ અહીં જ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે કામરાએ ફિલ્મ 'દિલ તો પાગલ હૈ' ના એક હિન્દી ગીત પરથી મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે કટાક્ષ કર્યો અને તેમને 'ગદ્દાર' ગણાવ્યા હતા.
કુણાલ કામરા સામે FIR દાખલ
બીજી બાજુ કુણાલ કામરા સામે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધી લેવામાં આવી છે. શિંદે સેનાના ધારાસભ્ય મુરાજી પટેલે આ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે શિવસેના નેતા રાહુલ કનાલે પણ ખાર પોલીસ સ્ટેશનમાં કુણાલ કામરા, આદિત્ય ઠાકરે, સંજય રાઉત અને રાહુલ ગાંધી સામે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અપમાન કરવા અને સોશિયલ મીડિયા પર તેમની સામે સતત પ્રહાર કરવા બદલ બીએનએસની યોગ્ય કલમ હેઠળ કેસ નોંધવાની માગ કરી હતી.
કામરાને શિંદે જૂથની ચેતવણી
શિવસેનાના સાંસદ મિલિન્દ દેવરાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, 'એકનાથ શિંદેની મજાક ઉડાવવામાં આવી હતી. એક એવા નેતા જે પોતાની મહેનતે ઓટો ડ્રાઈવરમાંથી ભારતના બીજા સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચ્યા. તેમના પર કરાયેલી ટિપ્પણીઓ જાતિવાદી ઘમંડને દર્શાવી રહી છે. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કામરાને ચેતવણી આપી હતી કે ‘આ ટિપ્પણી બદલ શિવસેનાના કાર્યકરો દેશભરમાં તારો પીછો કરશે. અને તારે ભારતમાંથી ભાગી જવાની ફરજ પડશે.’